આદિવાસી ભવનમાંથી દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસિસની ચોરીના આરોપી છગન માહલા અત્યાર સુધી ફરાર રહેતાં લેવાયેલો નિર્ણય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલીના દપાડા ગ્રામ પંચાયતના સરપંચ છગનભાઈ માહલાને પોતાના પદ ઉપરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આજે જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ જારી કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દપાડા ગ્રામ પંચાયતના સરપંચ છગનભાઈ માહલા આદિવાસી વિકાસ સંગઠનની સસ્પેન્ડ કરાયેલી મેનેજમેન્ટ કમીટિમાં કોષાધ્યક્ષના પદ ઉપર કાર્યરત હતા. દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્ટને બર્ખાસ્ત કરાયા બાદ વહીવટદાર તરીકે ખાનવેલનામામલતદાર શ્રી ભાવેશ પટેલની નિયુક્તિ કરી હતી. શ્રી ભાવેશ પટેલે 2 ઓગસ્ટે આદિવાસી વિકાસ સંગઠનના સંચાલકો પૈકી ગૌરાંગ સુરમા, ઈસ્માઈલ અલી સહિત સસ્પેન્ડ થયેલી મેનેજમેન્ટ કમીટિના હોદ્દેદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસના ઈન્વેસ્ટીગેટિંગ ઓફિસરે દપાડા ગ્રા.પં.ના સરપંચ અને બર્ખાસ્ત થયેલ આદિવાસી વિકાસ સંગઠનના કોષાધ્યક્ષને નોટિસ આપી તેમનો જવાબ લેવા માટે બોલાવાયા હતા. પરંતુ શ્રી ભાવેશ પટેલે નોંધેલી ફરિયાદ બાદથી છગન માહલા ફરાર હોવાનું દેખાઈ રહ્યું છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્યુલેશન 2012 કલમ 022એની પેટા સેક્શન 1 અંતર્ગત અત્યાર સુધી ફરાર રહેલા સરપંચે લોકસેવક તરીકેના કાર્યનું અધઃપતન કર્યું હોવાથી તાત્કાલિક અસરથી આજે સરપંચ તરીકે સસ્પેન્ડ કરવાનો આદેશ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ કર્યો હતો.