પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ અને દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પીભાઈ દમણિયાએ શાળાના વિદ્યાર્થીઓને 14મી ઓગસ્ટ, 1947ના રોજ ભારતના ભાગલા પડયા અને બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવતો હોવાની આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : આજે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણની શ્રી માછી મહાજન સ્કૂલમાં પ્રદશર્નીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, દમણ જિલ્લાભાજપ અધ્યક્ષ અને દમણ ન.પા. અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, દમણ જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ(વિકાસ) પટેલ, દમણ નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ, દમણ ન.પા.ના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી સોનલબેન પટેલ, દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી સહિત દમણ જિલ્લા પંચાયતના સભ્યો, દમણ નગરપાલિકાના કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
14 ઓગસ્ટ 1947નો દિવસ એ દિવસ હતો જ્યારે એક તરફ દેશ સ્વતંત્રતા મેળવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં બીજી તરફ દેશમાં ભાગલાના કારણે અરાજકતાનો માહોલ હતો અને લાખો લોકોએ તેનો ભોગ બનવું પડયું હતું. દેશ સ્વતંત્રતાનાં 76 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. આવતીકાલે 77મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવશે. તે પહેલાં આજના દિવસને (14 ઓગસ્ટ) ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો. ભારતના ભાગલા પડયા અને બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.
આજે દમણની શ્રી માછી મહાજન સ્કૂલમાં દમણ ભાજપ દ્વારા આયોજીત ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ના અવસરે દમણજિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયાએ એક ચિત્ર પ્રદર્શની લગાવીને શાળાના વિદ્યાર્થીઓ અને દમણની જનતાને ભારતના ભાગલાના સમયની વિકટ પરિસ્થિતિથી વાકેફ કરવાનો એક સાર્થક પ્રયાસ કર્યો હતો.
આ અવસરે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે શાળાના વિદ્યાર્થીઓને આ ચિત્ર પ્રદર્શનીના માધ્યમથી દેશના ભાગલાના સમયે વિસ્થાપિત થયેલા કરોડો લોકોની તકલીફો, નફરતના વાતાવરણથી થયેલા દંગામાં માર્યા ગયેલા 10 લાખ લોકોના પરિવારના દુઃખ-દર્દનું વર્ણન કર્યું હતું અને દેશના ભાગલા સમયે માતા, બહેનો સાથે થયેલા સૌથી વધુ અમાનવીય વ્યવહારની ઘટનાઓ બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. સાથે શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, કાલે આપણે 15 ઓગસ્ટના રોજ આઝાદીના ઉત્સવની ઉજવણી કરીશું તો સાથે જ આપણે દેશના ભાગલાના સમય મોતને ભેટેલા લાખો લોકોને યાદ કરીને તેમના પ્રત્યે સંવેદના પણ પ્રગટ કરવી જોઈએ અને તેમને નમન કરવા જોઈએ.
આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રદર્શનીને નિહાળી તેઓની આંખો ભીની થઈ હતી.