રાયમલ, નગર, મધુબન અને મેઘવાળ ગામોને દાનહમાં જોડવાની હિલચાલનો વિરોધ : રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: કપરાડા તાલુકાના ચાર ગામ દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં સમાવેશ કરવાની ચાલી રહેલી ગતિવિધિઓનો સ્થાનિક ગ્રામવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજે વલસાડમાં રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કપરાડા તાલુકાના ચાર ગામ રાયમલ, નગર, મધુબન અને મેઘવાળને દાનહમાં સમાવેશ કરવાની ચાલી રહેલી હિલચાલ સામે સ્થાનિક ગ્રામવાસીઓ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકો નથી ઈચ્છતા કે તેમના ગામો દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવામાં આવે તેથી આજે ગુરૂવારે વલસાડમાં વિરોધ કરીને રેલી કાઢી હતી. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી તા.28 ઓગસ્ટમાં ગાંધીનગરમાં આ મામલે ગૃહ ખાતાની રાહબરીમાં ઉચ્ચ મિટીંગ યોજાવાની છે. જેમાં કપરાડા તાલુકાના રાયમલ, નગર,મધુબન અને મેઘવાળને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાય તે પહેલાં જ આ ચાર ગામના ગ્રામવાસીઓ વિરોધનું બ્યુગલ ફૂંકી દીધું છે.