પ્રિમોન્સુન કામગીરીમાં ઉતારેલી વેઠના કારણે સમસ્યાનો ભરમાર તેમજ પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટની ચર્ચા સાથે ગંદકીના સામ્રાજ્ય સહિતના સામે આવેલા મુદ્દા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામપાલિકાની સામાન્ય સભા આજરોજ પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલના અધ્યક્ષતા હેઠળ મળી હતી. સભામાં પાલિકાની નબળી કામગીરીના કારણે સર્જાયેલી સમસ્યા સામે શાસક અને વિપક્ષના સભ્યોએ બળાપો ઠાલવ્યો હતો. સરકારી અને પાલિકાની જમીન ઉપર થયેલા અતિક્રમણો હટાવવાના મુદ્દે ચર્ચા થવા પામી હતી. અને સરકારી જમીન ઉપર તાર કમ્પાઉન્ડ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પાલિકાના વહીવટમાં પારદર્શકતાનો અભાવ તેમજ પાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટરો પાસે અગ્રણી સભ્યો દલાલી મેળવતા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.
ઉમરગામ પાલિકાની પ્રજાને અશુદ્ધ પાણી પીવાની ફરજ પડી રહી હોવાની તેમજ રસ્તાઓ ઉપરની બંધ પડેલી સ્ટ્રીટ લાઈટના કારણે ભારે સમસ્યા સર્જવા પામી હોવાનો મુદ્દો રજૂ થવા પામ્યો હતો. આ ઉપરાંત ઉમરગામ પાલિકામાં ગંદકીના ફેલાયેલા સામ્રાજ્ય સામે પાલિકા યોગ્ય કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ છે. આ ઉપરાંત અંદાજિત રૂા.4 કરોડની ગ્રાન્ટ લેપ્સ થતાં પાલિકાના સભ્યોએ વહીવટ કરતા પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ સામે કામગીરીની કુશળતા તેમજ ઈચ્છા શક્તિ સામે સવાલ ઊભા કર્યા હતા.
આ ઉપરાંત મહેકમ સમિતિના અધ્યક્ષ શ્રીમતી જયશ્રીબેન અજયભાઈ માછીએ પાલિકાએ મહેકમની જગ્યા ભરવા માટે કરેલા ઠરાવ નંબર116/4 મુજબ 21 જગ્યાઓ ભરવાની હતી જેમાંથી 18 જગ્યા ભરાયેલી છે. જેથી બાકી રહેલી 3 જગ્યાઓ ભરવા માટે સૂચન કર્યું હતું.