(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લો સરેરાશ જંગલનો પ્રદેશ ધરાવતો જિલ્લો છે તેથી વન પ્રાણીઓ, સાપ, અજગર શહેરી કે ગ્રામ્ય વિસ્તારના રહેણાંક વિસ્તારમાં અવાર નવાર આવી જતા હોય છે. ગુરુવારે રાતે 9 વાગ્યાના સુમારે વાપી નૂતનનગર વિસ્તારના એક બંગલામાં 9 ફૂટ વિશાળકાય અજગર આવી ચઢયો હતો. એનિમલ રેસ્ક્યુ ટીમે અજગરનું સલામત રીતે રેસ્ક્યું કરીને વન વિભાગને સોંપ્યો હતો.
વાપી નૂતનનગર સ્થિત એક બંગલાના કમ્પાઉન્ડમાં માળી ગુરૂવારે 9 વાગ્યાના સુમારે બગીચામાં કામકાજ કરી રહ્યો હતો તે દરમિયાન મહાકાય અજગર નજરે પડતા માલિકને જાણ કરી હતી. માલિકે એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરતા ટીમે 9 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગની ટીમને સુપરત કર્યો હતો. રહેણાંક વિસ્તારમાં આવી જતા સાપ, અજગર, કે જંગલી પ્રાણીઓને સલામતી જાળવી તેને વન વિભાગને સુપરત કરવા જોઈએ તેવું રેસ્ક્યુ ટીમે જણાવ્યું હતું.