બાલદેવી ખાતે 19,900 ચોરસમીટર પ્લોટ એરિયામાં નિર્માણ પામેલ 16 બિલ્ડીંગોમાં 704 વન બી.એચ.કે.ના ફલેટોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)ની સુપ્રત કરાનારી ચાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : આવતી કાલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના ઉપક્રમે દાનહના બાલદેવી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અંતર્ગત 704 લાભાર્થીઓને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે. ગૃહ પ્રવેશ વિધિ પહેલાં વાસ્તુ પૂજા કરાશે અને પૂજામાં 11 લાભાર્થી દંપતિ વિધિવત્ પૂજાપાઠ કરશે.
અત્રે નોંધનીય છે કે, બાલદેવી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના નિર્માણ કાર્ય દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલે અનેક વખત કાર્યક્ષેત્રની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને ગુણવત્તાથી લઈ સુખ-સુવિધાની કોઈ કસર બાકી નહીં રહે તેની અંગત કાળજી પણ લીધી હતી.
બાલદેવીમાં 19,900 ચોરસમીટર પ્લોટ એરિયામાં 16 બિલ્ડીંગોમાં 704 વન બી.એચ.કે.ના ફલેટોનું નિર્માણ કરાયું છે. પ્રત્યેક ફલેટનું ક્ષેત્રફળ 366.4 ચોરસ ફૂટ છે. જેમાં લિવિંગ રૂમ, બેડ રૂમ, કિચન, ટોયલેટ, બાથરૂમ તથા વોશ એરિયાની સુવિધા ઉપલબ્ધ છે. પાણીની કમી નહીં પડે એ માટે નળથી જળની સુવિધા માટે 10 લાખ લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકીથી ચોવિસ કલાક પાણી ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લિવિંગ રૂમ, બેડ રૂમમાં પંખા લગાવીને આપવામાં આવી રહ્યા છે. તદ્ઉપરાંત પુરા ફલેટમાં એલ.ઈ.ડી. બલ્બ પણ લગાવાયા છે. રસોઈ માટે ગેસની સુવિધા માટે પાઈપ લાઈન પણ ફીટ કરવામાં આવી છે. લાભાર્થીઓને વિજળીના બિલમાં રાહત મળે તે હેતુથી દરેક બિલ્ડીંગોની છત ઉપર સોલર પ્લેટ્સ લગાવવામાં આવી છે. આ પરિસરમાં નંદઘર, બાળકો માટે ઉદ્યાન, સિનિયર સીટીઝનો માટે બેઠક વ્યવસ્થા સાથે જ એક્સરસાઈઝ માટે પણ આધુનિક ઉપકરણો લગાવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ પરિસરમાં રહેવાસીઓની સુરક્ષા માટે એક ચેકપોસ્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યુંછે. જેમાં પોલીસબળ તૈનાત રહેશે. ગૃહ પ્રવેશ પહેલાં રવિવારે બપોરે 3:30 વાગ્યે વાસ્તુ પૂજાનો આરંભ થશે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની જોડે કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું સાંજે 5:00 વાગ્યે કાર્યક્રમ સ્થળ બાલદેવી ખાતે આગમન થશે. જ્યાં તેઓ આરતીમાં સામેલ થઈ 704 લાભાર્થીઓને વિધિવત્ ગૃહ પ્રવેશ કરાવશે. આ લાભાર્થીઓમાં 120 પરિવાર લઘુમતિ સમુદાયના છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પોતાના ઘરનું સપનું સાર્થક કરી રહેલા 704 લાભાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા નહીં પડે તેની સંપૂર્ણ કાળજી પણ લેવામાં આવી છે. જે બદલાયેલા વર્ક કલ્ચર અને બદલાયેલા દાદરા નગર હવેલીનું પણ પ્રતિબિંબ પાડે છે.