છેલ્લા 6 વર્ષમાં પ્રદેશમાં કાયદાનું રાજ સ્થાપી વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભરેલા અનેક આકરા પગલાં
સંઘપ્રદેશમાં સત્તા પક્ષ ભાજપ હોય કે વિરોધ પક્ષ કોંગ્રેસ, શિવસેના કે અન્ય કોઈપણ જૂથ હોય તમામને કાયદાની પરિભાષામાં એક લાકડીએ હાંકવાની પ્રશાસનની સ્પષ્ટ નીતિ
…અને એટલે જ આજે ટચૂકડા સંઘપ્રદેશમાં ઔદ્યોગિક, પ્રવાસન તથા શૈક્ષણિક ક્ષેત્રે સમૃદ્ધિજોવા મળી રહી છે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા 6 વર્ષથી શરૂ થયેલા શુદ્ધિકરણ અભિયાનના યજ્ઞમાં હોમાવા માટે બાકી રહેલાઓના હવે નંબર લાગવાની શરૂઆત થઈ છે. છેલ્લા 6 વર્ષમાં પ્રદેશમાં કાયદાનું રાજ સ્થાપી વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અનેક આકરા પગલાં ભર્યા છે. તેમણે પ્રદેશના લોકોના હિતને સર્વોપરી માન્યું છે. જેના કારણે સત્તા પક્ષ ભાજપ હોય કે વિરોધ પક્ષ કોંગ્રેસ, શિવસેના કે અન્ય કોઈપણ જૂથ હોય તમામને કાયદાની પરિભાષામાં એક લાકડીએ હાંકવાની નીતિ અખત્યાર કરી છે. પોતાના અંગત હોય કે પારકાં, પક્ષના હોય કે વિપક્ષના, પક્ષ સંગઠનના હોદ્દેદાર હોય કે પછી લોકતંત્રના પ્રતિનિધિ હોય, જેમણે પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય કે, નીતિ-નિયમોની મર્યાદામાં નહીં રહ્યા હોય તે દરેકની સામે કાયદાની તલવાર ઝીંકવામાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પાછીપાની કરી નથી.
હાલમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ નવિનભાઈ પટેલ સામે ખંડણીની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસતંત્રએ કરેલી તપાસમાં તથ્ય દેખાતાં તાત્કાલિક એફ.આઈ.આર. નોંધી આરોપીઓની ધરપકડ માટેના ચક્રો પણ ગતિમાન કરાતા હવે સંઘપ્રદેશ બદલાઈ રહ્યો હોવાની ફરી એકવાર પ્રતિતિ કરાવીછે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોઈ મોટો ચમરબંધી કેમ નહીં હોય કે, મોટા વગવસીલા ધરાવતા હોય તમામે કાયદાની મર્યાદામાં જ રહેવું પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સફળ રહ્યા છે જેના કારણે જ આજે ટચૂકડા સંઘપ્રદેશમાં ઔદ્યોગિક, પ્રવાસન તથા શૈક્ષણિક ક્ષેત્રે સમૃદ્ધિ જોવા મળી રહી છે.