ટોરેન્ટ પાવર કંપની દ્વારા તમામ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના ટી.બી. અને રક્તપિત્તના દર્દીઓને દર મહિને તેમની સારવાર દરમિયાન પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2023ના વૈશ્વિક લક્ષ્યથી પાંચ વર્ષ પહેલાં એટલે કે 2025 સુધીમાં ટી.બી.(ક્ષય) નાબૂદીના લક્ષ્યને હાંસલ કરવાના આહ્વાન મુજબ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્ય વિભાગ ટી.બી.(ક્ષય) અને રક્તપિત્તને મૂળમાંથી નાબૂદ કરવા પ્રયારત છે. આ પ્રયાસને આગળ વધારતા આજે સમગ્ર પ્રદેશમાં નિક્ષણ-નિકુષ્ઠ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ટી.બી.(ક્ષય) અને રક્તપિત્તના દર્દીઓને નિક્ષણ-નિકુષ્ઠ મિત્રો દ્વારા પોષક આહારનું વિતરણ કરવામાં આવ્યુંહતું.
વડાપ્રધાનશ્રીની પહેલ મુજબ ટી.બી.(ક્ષય)ને નાબૂદ કરવાના પ્રયાસ અંતર્ગત ‘‘નિક્ષય મિત્ર અભિયાન” સમગ્ર ભારત દેશમાં શરૂ કરવામાં આવેલ છે. જેની કડીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ‘‘નિક્ષય મિત્ર અભિયાન” ટી.બી.(ક્ષય)ના દર્દીઓ માટે અને ‘‘નિકુષ્ઠ મિત્ર અભિયાન” રક્તપિત્તના દર્દીઓ માટે પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. નિકુષ્ઠ મિત્ર અભિયાન સૌપ્રથમ સમગ્ર ભારતમાં ફક્ત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શરૂ કરવામાં આવ્યું છે. ‘‘નિક્ષય મિત્ર-નિકુષ્ઠ મિત્ર” તમામ સંભવિત દાતાઓ છે જેઓ પોષણ સંબંધી સહાય, તબીબી સહાય, વ્યાવસાયિક સહાય અને વધુ પોષણયુક્તના રૂપમાં સામાજિક સહાય કરવા ગામ, બ્લોક, જિલ્લાના ટી.બી.(ક્ષય) અને રક્તપિત્તના દર્દીઓને દત્તક લેવા માટે ઈચ્છુક છે. દર મહિને વિવિધ કંપનીઓ સંઘપ્રદેશમાં ટી.બી.(ક્ષય) રક્તપિત્તના દર્દીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આરોગ્ય સચિવ ડૉ. અરૂણ ટી.ની પહેલથી નવા નિક્ષય મિત્ર બનીને ટોરેન્ટ કંપનીએ પ્રદેશના વધુમાં વધુ ટી.બી.(ક્ષય) અને રક્તપિત્તના દર્દીઓને દત્તક લઈને તેમને દર મહિને તેમની સારવાર દરમિયાન પૌષ્ટિક આહાર કિટ આપવાની શપથ લીધી છે. આજે સોમવારે સંઘપ્રદેશનાતમામ 80 હેલ્થ અને વેલનેસ સેન્ટરો ખાતે તમામ ટી.બી.(ક્ષય) અને રક્તપિત્તના દર્દીઓને પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 437 પૌષ્ટિક આહાર કિટ ટી.બી.(ક્ષય)ના દર્દીઓને અને 97 કિટ રક્તપિત્તના દર્દીઓને વિતરણ કરી હતી. આજે પૌષ્ટિક આહાર કિટ વિતરણના કાર્યક્રમનું આયોજન દાનહ, દમણ અને દીવ જિલ્લાના તમામ સેન્ટરો પર કરવામાં આવ્યું હતું. જેમાં દાદરા નગર હવેલીમાં 318 ટી.બી., 81 રક્તપિત્ત, દમણમાં 115 કિટ ટી.બી. અને 15 કિટનું વિતરણ રક્તપિત્તના દર્દીઓને કરવામાં આવ્યું હતું. જ્યારે દીવમાં 4 ટી.બી. અને 1 કિટ રક્તપિત્તના દર્દીને આપવામાં આવી હતી.
દાનહના રખોલી સી.એચ.અસી. ખાતે પૌષ્ટિક આહાર કિટ વિતરણના મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત સભ્ય શ્રી દીપક પ્રધાન, ટોરેન્ટ કંપનીના અધિકારી શ્રી ધર્મેન્દ્ર દવે, જનરલ મેનેજર અને તેમના સાથી કર્મી, આરોગ્ય વિભાગના ડો. મનોજ સિંહ, ડો. નિમેષ, ડો. વિમલ ગરસિયા, ડો. વિનતા રાજગરના સહયોગ અને તેમની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દમણ અને દીવના પણ તમામ હેલ્થ વેલનેસ સેન્ટરો પર યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ આરોગ્ય અધિકારીઓએ ટી.બી.(ક્ષય)ની બાબતેજાણકારી આપી હતી અને નિક્ષય નિકુષ્ઠ મિત્રો દ્વારા પોષણ કિટ વિતરણ કરી હતી.
અત્રે યાદ રહે કે, પૌષ્ટિક આહાર કિટનું વિતરણ તમામ ટી.બી.(ક્ષય) અને રક્તપિત્તના દર્દીઓને દર મહિને તેમની સારવાર દરમિયાન આપવામાં આવશે.