સ્મીત દેસાઈ અને ડો.ચિનલ પટેલનું મોતઃ અન્ય ત્રણ પણ દાઝ્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.08: ગયા સપ્તાહે વલસાડ સુગર ફેક્ટરી પાસે આવેલ મણીબા કોમ્પલેક્ષમાં ભિષણ આગ લાગી હતી. આગમાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા તે પૈકી યુવાન સ્મીત દેસાઈ અને ડો.ચિનલ પટેલનું સારવારમાં મોત નિપજ્યા હતા. બીજી તરફ જમીન માલિકો અને દુકાન માલિકોને પારનેરા પારડી ગ્રામ પંચાયતના તલાટીએ નોટીસ ફટકારી ત્રણ દિવસમાં વિવિધ ખુલાસા માગ્યા છે.
પારનેરા પારડીમાં આવેલ મણીબા કોમ્પલેક્ષ ગેરકાયદે બાંધકામ કરાયાનું તપાસમાં બહાર આવી રહેલ છે. આગમાં આઠ જેટલી દુકાનમાં આગ લાગી હતી. જેમાં દાઝેલા પૈકી બે ના મોત નિપજ્યા હતા તેથી તપાસનો કોરડો વિંઝાયો છે. જમીન માલિક ઈશ્વર ડાહ્યાભાઈ પટેલ અને ઉષાબેન પટેલને ગ્રામ પંચાયત પારનેરા પારડી તલાટીએ નોટિસ ફટકારી છે. નોટિસ મુજબ બાંધકામ અંગે વલસાડ નગર નિયોજકની મંજુરી તથા પ્લાન, જમીનના 7/12ના ઉતારા, બાંધકામની પરમીશન ત્રણ દિવસમાં ભુરી પાડવા જણાવાયું છે. કસુરવાર કરશે તો જમીન માલિકો અને દુકાન માલિકો વિરુધ્ધ ગુનો નોંધવામાં આવશે તેવું જાણવા મળેલ છે.