રોટરી થનગનાટ રોફેલ ગ્રાઉન્ડ, રાસ રમઝટ ચલા ભાઠેલા પ્લોટ, રાસ રસીયા ચલા મુક્તાનંદ માર્ગ : ત્રણેય આયોજનો આકર્ષણ જમાવશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: આગામી આસો સુદ-1 તા.15 ઓક્ટોબરથી વાપી સહિત વલસાડ જિલ્લામાં જગત જનની માઁ અંબાની ભક્તિ, આરાધના સાથે નવરાત્રિનો થનગનાટ 9 દિવસ છવાઈ જશે. યૌવન માજમ રાત સુધી વિવિધ નવરાત્રિ આયોજનોમાં થીરકતું જોવા મળશે. આ વર્ષે વાપીમાં નવરાત્રિ મોટા કુલ 3 આયોજનો છે. જેમાં રોફેલ કોલેજ ગ્રાઉન્ડ ઉપર રોટરી પરિવાર દ્વારા થનગનાટ, ચલા ભાઠેલા પાર્ટી પ્લોટમાં રાસ રમઝટ 2023 અને ચલા મુક્તાનંદ માર્ગ ઉપર સ્વામીનારાયણ ગુરુકુળના સથવારે જનમ ટ્રસ્ટ દ્વારા રાસ રસીયા નવરાત્રિ મહોત્સવ મુખ્ય છે. આ નવરાત્રિમાં વિવિધ આયોજનોમાં કાર્ડિયાક એમ્બ્યુલન્સ, પ્રાયમરી ક્લિનિક અને તબીબ ટીમો ગ્રાઉન્ડ ઉપર જોવા મળશે.
નવરાત્રિ મહોત્સવનું વાપીમાં કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. જેમાં શિરમોર ગણાતું વાપી રોટરી પરિવાર દ્વારા થનગનાટ 2023 મુખ્ય છે. છેલ્લા 20 વર્ષથી થનગનાટ નવરાત્રિ મહોત્સવ રોટરી પરિવાર આયોજન કરે છે. આ વર્ષે હાર્ટ એટેક જેવાબનાવોને ધ્યાનમાં રાખી ગ્રાઉન્ડમાં કાર્ડિયાક એમ્બ્યુલન્સ તૈયાર થશે. રોટરી પરિવારે વાપીમાં પ્રથમ વાર પાસ વિતરણ વ્યવસ્થા બંધ કરી છે. ક્યુઆર કોડથી એન્ટ્રી અપાશે. એટલે પેપરલેશ નવરાત્રિનું આયોજન છે. ત્રણેય ભવ્ય આયોજનમાં ઈનામો, બમ્પર ઈનામો રાખવામાં આવ્યા છે. નવરાત્રિના ત્રણેય આયોજકોએ કંઈક નવિનતા આપવાના છે. સેલીબ્રિટીઝ, પ્રખ્યાત પાર્ટીના ગાયકો અને હાસ્ય કલાકાર, ડાયરા જેવી વિવિધતા નવરાત્રિ 2023માં જોવા મળશે. બીજી તરફ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ નવરાત્રિ 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવી વલસાડ, પારડી, વાપીમાં શાંતિ સમિતિની મિટીંગ આયોજકો સાથે કરીને લો એન્ડ ઓર્ડર અંગેની પાણ તાકીદ કરાઈ છે.

