સાદકપોરમાં તાત્કાલિક ચાર જેટલા પાંજરા ગોઠવી ગ્રામ પંચાયત દ્વારા
લાઉડસ્પીકર સાથેવાહન ફેરવી લોકોને સાવચેત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.15: ચીખલી તાલુકાના સાદકપોરના દાદરા ફળીયામાં શનિવારની રાત્રિએ દીપડાના હુમલામાં દાદરા વિસ્તારના પહાડ ફળીયાના છાયાબેન ભરતભાઇ પટેલ (ઉ.વ.24)નું મોત નીપજ્યું હતું. બાદમાં શનિવારની રાત્રે જ દાદરાથી એકાદ કિલો મીટરના અંતરે ચાડીયા ફળીયામાં બે વાગ્યાની આસપાસ શંકરભાઇ બાબરભાઈ પટેલના આશરે દોઢેક વર્ષની ઉંમરના વાછરડાને પણ દીપડાએ ફાડી ખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે. જોકે ગામના સરપંચ શ્રી સંજયભાઈ દ્વારા જાણ કરતા વન વિભાગ દ્વારા પંચકયાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
સાદકપોર ગામમાં એક જ રાત્રીમાં મહિલા અને વાછરડાને દીપડાએ ફાડી ખાતા ગામમાં રીતસરનો ભયનો માહોલ સર્જાતા સ્થાનિક જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ સરપંચ શ્રી સંજયભાઈ, એપીએમસી ચેરમેન શ્રી કિશોરભાઈ સહિતના સ્થાનિક આગેવાનો દ્વારા આરએફઓ શ્રી આકાશભાઈ સાથે જરૂરી સંકલન કરી લોહી ચાખી ગયેલા દીપડાને પાંજરે પુરવા માટે આયોજન હાથ ધરી દાદરા વિસ્તારમાં બે અને ચાડીયા તથા ગોલવાડમાં એક-એક મળી ચાર જેટલા પાંજરા તાત્કાલિક ધોરણે ગોઠવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા લાઉડ સ્પીકરસાથેનું વાહન સમગ્ર ગામમાં ફેરવી જણાવ્યું હતું કે આપણા ગામમાં શનિવારની રાત્રીના સમયે છાયાબેન પટેલ નામની મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો છે. જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાઈ ત્યાં સુધી ગામ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને સાંજના સાડા છ વાગ્યા બાદ ઘરેથી કોઈ વ્યક્તિએ બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી હતી.