કોઈપણ પ્રવાહમાં ધોરણ 12માં અભ્યાસ કરતા અને કાયદાના ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ 15મી ઓક્ટો.ના રવિવારે સવારે 10 વાગે જીએનએલયુ કેમ્પસ સેલવાસ ખાતે હાજર રહેવા સૂચન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયત્નોના પરિણામે દેશની અગ્રગણ્ય લૉ યુનિવર્સિટી ગણાતી ગુજરાત નેશનલ લૉયુનિવર્સિટીએ સેલવાસ સચિવાલય ખાતેના હંગામી કેમ્પસમાં બી.એ.એલ.એલ.બી. અને અને એલ.એલ.એમ. અભ્યાસક્રમ સાથે ચાલુ વર્ષથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરી છે.
સંઘપ્રદેશના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત લૉ યુનિવર્સિટીમાં અભ્યાસની તક મળે તે આશયથી આ બન્ને અભ્યાસક્રમમાં 25 ટકા બેઠકો તેમના માટે અનામત રાખવામાં આવી છે. ચાલુ વર્ષે સંઘપ્રદેશના 18 વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી જીએનએલયુ સેલવાસ કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે. આગામી શૈક્ષણીક વર્ષમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ તારીખ 03 ડિસેમ્બરના રોજ યોજાનાર કોમન લૉ એડમિશન ટેસ્ટ (સીએલએટી) પરીક્ષા આપવી ફરજીયાત છે.
સીએલએટી પરીક્ષા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સચિવાલય, આમલી ખાતે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12માં અભ્યાસ કરતા અને કાયદાના ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ આગામી રવિવાર તારીખ 15 ઓક્ટોબરે સવારે 10 વાગે જીએનએલયુ કેમ્પસ સેલવાસ ખાતે હાજર રહેવા સંસ્થાની એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
આ શિબિરમાં સીએલએટી માટે નોંધણી કઈ રીતે કરાવવી અને પરીક્ષા માટે તૈયારી કઈ રીતે કરવી તે વિગતે વિસ્તૃત સમજણ આપવામાં આવશે. તે ઉપરાંત, સીએલએટી માટેનોંધણી કરાવનાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવશે તેની વિગતો પણ આપવામાં આવશે.