-
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા આજથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભાવભક્તિ પૂર્ણ આરંભ થયો છે. આજે બપોરે માછી સમાજના કુલગુરૂ મહંત શ્રી ગોપાલદાસને બગીમાં બેસાડી માછી સમાજની તમામ 18 શેરીઓમાં ધામધૂમ સાથે ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ખારીવાડ ઝરીમરી માતા મંદિરથી નીકળેલી શોભા યાત્રા નાની દમણ બસસ્ટેન્ડ થઈ ધોબી તળાવથી સાગર પેટ્રોલ પંપથી મશાલચોક થઈ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે પહોંચી હતી.
શોભા યાત્રામાં બહેનોએ એક જ રંગની સાડીના કરેલા પરિધાનથી સમગ્ર પંથકમાં ભક્તિ અને શક્તિના સમન્વયનો જયઘોષ પણ સંભળાતો હતો. દમણ જિલ્લા કોળી પટેલ સમાજની સાથે તમામ સમાજે આપેલા સહયોગથી આજે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન સોળે કળાએ ખિલી ઉઠયું હતું અને વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.શ્રી મેહુલભાઈ જાનીના દૈવી પ્રભાવની અસર પણ સમગ્ર સભા મંડપમાં દેખાઈ હતી.
શોભા યાત્રા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે પહોંચતા માછી સમાજના કુલ ગુરૂ મહંત શ્રી ગોપાલદાસ મહારાજે ખુબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, કોળી પટેલ સમાજ દ્વારા તેમને આજે આપવામાં આવેલું માન-સન્માન અભૂતપૂર્વ હતું. આ પ્રસંગે ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી મેહલ જાનીએશ્રીમદ્ ભાગવત કથાનું શ્રી ગણેશ કરી કથાને આજના દિવસ માટે વિરામ આપી મહા આરતી કરી દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્ટી શ્રીમતી ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, ટ્રસ્ટીઓ સર્વશ્રી જયંતિભાઈ પટેલ, શ્રી ચીમનભાઈ પટેલ, સમાજના અધ્યક્ષ શ્રી ડો. નાનુભાઈ પટેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, શ્રી હરિશભાઈ પટેલ અને શ્રીમતી રીનાબેન પટેલ, શ્રી પિયુષભાઈ પટેલ અને શ્રીમતી વર્ષિકાબેન પટેલ, સચિવ શ્રી કાંતિભાઈ પટેલ, કોષાધ્યક્ષ શ્રી રમેશભાઈ પટેલ, શ્રી સુભાષભાઈ ઉક્કડભાઈ પટેલ-પટલારા, ઉપ પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ ડી. પટેલ, શ્રી ઉમેશ પટેલ, શ્રી રાયચંદ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ- સોમનાથ, શ્રી રમેશભાઈ પટેલ(સોમાભાઈ-મરવડ), શ્રી ઈશ્વરભાઈ પટેલ-ભામટી, શ્રી બાબુભાઈ પટેલ(દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ), શ્રી ઉપેન્દ્ર કેશવ પટેલ તથા પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સમાજના ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.