વલસાડ, નવસારી અને ડાંગથી આખી બસનું 51 સીટનું બુકિંગ
કરાવવાથી રહેણાંક વિસ્તાર સુધી બસ દોડાવાશે
ગ્રુપ બુકિંગ દ્વારા ખાસ કરીને અમદાવાદ અને પંચમહાલના વિસ્તારના
ગામોને વિશેષ પ્રાધાન્ય અપાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: આગામી દિવાળીના તહેવારો દરમિયાન મુસાફર જનતાને પોતાના વતન જવા માટે વલસાડ એસ. ટી. વિભાગ દ્વારા વિશેષ બસ સુવિધાનું આયોજન કરાયું છે. જેના થકી મુસાફરો સરળ, સલામત અને સુરક્ષિત યાત્રા માણી શકશે.
તા.07/11/2023 થી તા.12/11/2023 દરમિયાન આ ખાસ વધારાની બસો મુસાફર જનતાની સુવિધા અને વધારાના ટ્રાફિકના ધસારાને ધ્યાને લઈ વિશેષ સગવડ ઉપલબ્ધ કરાવવાના હેતુથી દોડાવાશે. આ તમામ બસો ખાસ સ્પેશિયલ એક્સ્ટ્રાના ધોરણે ગ્રુપ બુકિંગના માધ્યમથી અમદાવાદ અને પંચમહાલ વિસ્તારના ગામો તથા રાજ્યના અન્ય સ્થળો માટે પણ ચલાવવામાં આવશે, સાથો સાથ આજ રીતે ગ્રુપ બુકિંગ હેઠળ આખા વર્ષ દરમ્યાન પણ આપના દ્વારેથી ગુજરાત રાજ્યના તમામ હદ વિસ્તાર માટે લાભ મેળવી શકાશે.
આ સમયગાળા દરમિયાન ગ્રુપ બુકિંગથી આખી બસનું 51 સીટનું બુકિંગ કરાવવાથીઆપના રહેણાંક વિસ્તારથી એટલે કે વલસાડ, નવસારી અને ડાંગના જે સ્થળેથી માંગણી કરશો ત્યાંથી આપના વતનના ગામના પાદર સુધી ગુજરાત રાજ્યની હદમાં આ બસોની સુવિધા આપવામાં આવશે. આ બસોનું બુકિંગ કરાવવા માટે વલસાડ એસટી વિભાગના વલસાડ, નવસારી, બીલીમોરા, વાપી, આહવા અને ધરમપુર ડેપો ખાતે ડેપો મેનેજરશ્રીનો રૂબરૂ સંપર્ક કરી ગ્રુપ બુકિંગ કરાવી શકાશે એવું વલસાડ એસટીના વિભાગીય નિયામકશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.