(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : ‘‘સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત દાદરા ગ્રામ પંચાયત દ્વારા આજે પંચાયત વિસ્તારનાવિવિધ સ્થળોએ ‘સ્વચ્છતા અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાથી શરૂ કરવામાં આવેલ આ અભિયાન વરસાદના કારણે સ્થગિત હતું. જેની આજે ફરીથી શરૂઆરત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ સ્થળોએ સાફ-સફાઈ કરવામાં આવી હતી અને વિવિધ સ્થળોએ ઊગી નીકળેલા નકામા ઝાડી-ઝાંખરા, કાંટાળા છોડ તથા ગંદા કચરાને સાફ-સફાઈ કરી હટાવવામાં આવ્યો હતો. દાદરા ગ્રામ પંચાયતમાં તમામ ગલી, મહોલ્લા સ્વચ્છ, સુંદર અને રળિયામણા રહે એ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવનાર દિવસોમાં આ અભિયાનને વધુ ઝડપી બનાવવામાં આવનાર હોવાની માહિતી પંચાયતના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી.
દરમિયાન સ્વચ્છતા ઉપરાંત ગટરની પણ સાફ-સફાઈ કરવામાં આવી હતી સંપૂર્ણ ગટરની સાફ-સફાઇ બાદ જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવશે જેથી મચ્છરજન્ય રોગો કે અન્ય રોગચાળાને ફેલાતો અટકાવી શકાય. આ સ્વચ્છતા અભિયાનમાં સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ ઉપરાંત ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, પંચાયત મંત્રી સહિત વોર્ડ સભ્યો જોડાયા હતા.