(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના ટીડીઓ ચેતનભાઈ દેસાઈને તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય દીપાબેન, ઉપ પ્રમુખ રમેશભાઈ, કારોબારી સભ્ય ધર્મેશભાઈ, ભાજપ પ્રમુખ મયંકભાઈ, સરપંચ કલ્પેશભાઈ, પૂર્વ સરપંચ રૂપલબેન, અગ્રણી પિનાકીનભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે 2017 થી 2021 દરમિયાનના પાંચ વર્ષમાં આમધરા ગામમાં અનેક વિકાસના કામો થયા હતા તે દરમિયાન કોઈપણ ફરિયાદ થયેલ નથીત્યારે સમરસ ગ્રામ પંચાયત થતા સરપંચ પદે રૂપલબેન આરૂઢ થયા હતા. બાદમાં ચૂંટણી થતા તેમના પતિ કલ્પેશભાઈ સરપંચ પદે ચૂંટાઈ આવતા અગાઉના સરપંચના પિરિયડમાં થયેલા તમામ કામોની લેખિત ફરિયાદ, રેલી કાઢવાનું શરૂ થઈ ગયું હતું. પાંચ વર્ષમાં ફરિયાદ કરાઈ ન હતી. ચૂંટણી બાદ જ કેમ કરવામાં આવી? સરપંચ કલ્પેશભાઈને ચૂંટણી દરમિયાન આ ટોળકીના સભ્યોએ મારતા પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. હાલે પણ એક કામ ચાલુ છે. તેમાં પણ વિવાદ કરી જાતિ વિષયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ગામમાં આદિવાસી રાજ કરે તે ગમતું નથી.
વધુમાં જણાવાયં છે કે, હાલમાં અમારા ગામમાં ઘણા કામો મંજુર છે જે આ ટોળકીને ગમતું નથી. મનરેગા યોજનામાં બેરોજગરોને રોજગાર મળે એ હેઠળ કામ ચાલતું હતું. પરંતુ ફરિયાદો થતા હાલે કામ બંધ છે. હળપતિ આવાસ અને પ્રધાનમંત્રી આવાસના કામો પણ મળેલ નથી. જેથી આ લોકોની ફરિયાદ ધ્યાને ન લઈ નિયમ મુજબ દેખરેખ રાખી મંજુર કામો શરૂ કરાવી પૂર્ણ કરાવવાની માંગ કરાઈ હતી. મોટી સંખ્યામાં આવેલા લોકોને ટીડીઓ ચેતનભાઈએ કામો શકય એટલા ઝડપથી શરૂ કરાવવાની ખાતરી આપી હતી.