બચાવ કાર્ય દરમિયાન મુંબઈ કોસ્ટ ગાર્ડ અને કસ્ટમ વિભાગની ગેરસમજના કારણે માછીમારોને વેઠવા પડેલી મુશ્કેલીઃ સઘન તપાસમાં શંકાસ્પદ કંઈ નહીં મળતાં દંડ ભરીને બોટ છોડી દીધાં બાદ યુવા માછીમારોએ દીવ બંદરે પહોંચાડયા બાદ આરંભેલું બોટનું સમારકામ
(ફૈઝાન ફારૂક સિદ્દી દ્વારા)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.30 : ગત તા.19મી સપ્ટેમ્બર, 2023ના રોજ મુંબઈના દરિયામાં 21 કિ.મી. દૂર ‘શિવ સુંદર’ નામની બોટ અમૃતલાલ હરજી બામણીયાના માલિકીની દરિયામાં ડૂબી ગઈ હતી. જેના કારણે તેઓ અને તેમના પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. અન્ય કેટલાક બોટમાલિકો દ્વારા બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ 19મી સપ્ટેમ્બરના રોજ મુંબઈના ઊંડા દરિયામાં માછીમારી કરવા નિકળેલ દીવના શ્રી અમૃતલાલ હરજી બામણીયાના માલિકીની ‘શિવ સુંદર’ નામની બોટ મુંબઈ દરિયા કાંઠેથી લગભગ 21 કિલોમીટર અંદર દરિયામાં ડૂબી ગઈ હતી. બોટ દરિયા કાંઠેથી 21 કિલોમીટર જેટલા દૂર પાણીમાં ગરકાવ હોવાથી માલિકને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ બોટ ડૂબવાની ઘટના બાબતે જ્યારેદીવના ‘યુવા જાગૃત માછીમાર’ના સભ્યોને જાણ થતાં તેઓ નિઃસ્વાર્થ ભાવે અમૃતલાલભાઈની મદદ કરવા દરિયામાં પહોંચ્યા હતા અને 20 દિવસના ભારે સંઘર્ષ પછી પાણીમાં ડૂબી ગયેલ બોટને દરિયામાંથી મરજીવાઓ અને 3 થી 4 અન્ય બોટોની મદદ વડે બહાર કાઢવા સફળતા મળી હતી. ત્યારબાદ બોટને મુંબઈના દરિયા કાંઠે લાવવામાં આવી હતી અને તેમાં જે કાણું પડેલ હતું તેનું રિપેરકામ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ દીવના કાંઠા સુધી પહોંડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પરંતુ આ ઘટના બાબતે ગેરસમજના કારણે મુંબઈ કોસ્ટ ગાર્ડ અને કસ્ટમ વિભાગ દ્વારા બોટ માલિક તથા બચાવસભ્યોને ભારે તકલીફો આપવામાં આવી હોવાની માહિતી બચાવકર્તાઓએ આપી હતી. પરંતુ ‘સત્યનો હંમેશા વિજય થાય છે’ તેમ આખરે મુંબઈ કોસ્ટ ગાર્ડ અને કસ્ટમ વિભાગની સઘન તપાસ બાદ તેમને કંઈ પણ શંકાસ્પદ લાગ્યું ન હતું અને દીવના ઝાંબાઝ માછીમારોને દંડ ભરાવ્યા બાદ નિર્દોષ છોડી દીધા હતા.
મુંબઈના દરિયામાં ગરકાવ થયેલ અમૃતલાલ હરજી બામણીયાના માલિકીની ‘શિવસુંદર’ નામની બોટના બચાવ બાદ તેમાં થયેલ ક્ષતિને સુધારવા માટે દીવના યુવા જાગૃત માછીમાર શ્રી ઉકાભાઈ લાખાભાઈ, શ્રી નાનજીભાઈ ધનજીભાઈ, શ્રી જયેશભાઈ શામજીભાઈ, શ્રી હિરાલાલ ઉકરડાભાઈ અને શ્રી હરજીભાઈ ક્બાબુભાઈ અમૃતાલભાઈના પિતાશ્રી તેમની બોટો સાથે, મનમોહિની બોટના માલિક શ્રી રમેશ રામજી પણ તેમની બોટ સાથે શ્રી સામુભાઈ બાવા, શ્રી અમ્રીકભાઈ કરસન ઊભા પગે દિન-રાત મહેનત કર્યા પછી તારીખ 12/10/23ના રોજ ક્ષતિગ્રસ્ત થયેલ બોટને દીવ બંદરે લઈ આવ્યા હતા. જેમાં ઘણું જ આર્થિક નુકસાન થયેલ હોવાનું જોતાં તમામે મદદ રૂપે જાગૃત માછીમારોએ રૂા.1,26,800/-ની આર્થિક મદદ કરી હતી અને માછીમાર બેઠો થાય તેવા પ્રયત્નો કર્યા હતા.
હાલમાં શ્રી અમૃતલાલભાઈની બોટ સમારકામમાં હોય અને જાણવા મળ્યું છે કે ‘શિવ સાગર ફિશ સપ્લાયર’ પણ તેમને મદદરૂપ થઈ રહ્યા છે.