(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની કવિયત્રી શાલીની શર્માને તાજેતરમાં જ ડેલવર યુનિવર્સિટી યુએસએ દ્વારા એમના સ્વ રચિત કાવ્યો સંગ્રહ, લેખો અને હાલમાં પ્રકાશિત થયેલ આયુષ્યમાન અંતઃકરણ કી પુકારને લઈ માનદ્ પીએચડીની ઉપાધિ એનાયત કરાતા વાપી હિન્દી કાવ્ય મંચ દ્વારા એમનો સત્કાર સમ્માન સમારોહ અને કાવ્ય સંધ્યાનું રવિવારે વાપી ખાતે રાજસ્થાન ભવન હોલમાં આયોજન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિતિ મહેમાનોનાં હસ્તે દિપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ હિન્દી સાહિત્યના પ્રસિધ્ધ કવિયત્રી પ્રગ્યા પાંડે દ્વારા માં સરસ્વતી વંદના ગાવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ બી.કે. દાયમાએ ડૉ. શાલીની શર્માનો પરિચય કરાવ્યો હતો અને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે શાલ અને પુષ્પગુચ્છ દ્વારા એમનું સમ્માન કરવામાં આવ્યુ હતું.
આ અવસરે ડૉ.શાલીની શર્માએ મા શારદાને પ્રમાણ કરી લેખન અને કવિતાઓ વિશેની તેમની રસરૂચી તથા ધો.5 થી માસ્ટર ડીગ્રી અને પીએચડીની ઉપાધિ સુધીની સફરનું વર્ણન કર્યુ હતું. અને એમની રચનાઓની પ્રસ્તુતિ કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્યકારો- કવિઓએ કાર્યક્રમને આગળ ધપાવતા આગવી શૈલીઓમાં હિન્દી કવિતાઓ, શેર અને શાયરી, ગઝલો રજૂ કરી કાર્યક્રમને વધુ રોમાંચક શમા બાંધી હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ભાષા હિન્દીનું ચલણ સતત ઘટી રહ્યુ હોવાને લઈ વિશેષ ચિંતન-મનન પણ કરવામાં આવ્યુ હતું અને કાર્યક્રમનાં અધ્યક્ષ બી.કે. દાયમાએ હિન્દી ભાષાનું મહત્વ અને હિન્દી ભાષાને પુનઃ જીવંત કરવા માટે વાપી હિન્દી કાવ્ય મંચ સતત પ્રયત્નશીલ રહેશેનું જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે શીવ પ્રકાશ યાદવ, ડૉ.જ્યોત્સના શર્મા અને બી.કે. દાયમાની વિશેષ ઉપસ્થિતિ હતી.
આ અવસરે પ્રગ્યા પાંડે, સુમીત દુબે, મનીષ પાંડે, રૂપલ સોલંકી, આર.એન. શર્મા તથા બી.કે. દાયમા, ડૉ. જ્યોત્સના શર્મા, ડૉ. શાલીની શર્મા, શિવબક્સ યાદવ જેવા સાહિત્યકારોએ એમની શેર, શાયરી, ગઝલ અને કાવ્યો રચનાને રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.