(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: સાદકપોર, પીપલગભણ, ખુડવેલ, દેગામ, હરણગામ, તલાવચોરા, ફડવેલ, સાદડવેલ સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડા – દીપડીની અવર જવર વધી જવા પામી છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ વચ્ચે વન વિભાગ દ્વારા દસેક જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ દરમ્યાન ગતરોજ ફડવેલ ગામેથી એક પાંચ વર્ષીય કદાવર દિપડો પાંજરે પુરાયો હતો.
દરમ્યાન રાત્રીના સમયે ચીખલી તાલુકાના હરણગામના નહેર ફળીયામાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરામાં અંદાજે પાંચ વર્ષીય દીપડી પુરાતા આ અંગેની જાણ સરપંચદ્વારા કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડીનો કબ્જો લઈ વેટરનીટી તબીબ પાસે તપાસ કરાવાતા દીપડી સ્વસ્થ હોવાનું જણાતા સુરક્ષિત રીતે વઘઈ તરફ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
હરણગામમાં દીપડી પાંજરે પુરાયાની વાત વાયુવેગે પ્રસરતા દીપડીને જોવા સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાદકપોરમાં 6-જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી એક પણ દીપડો પાંજરે પુરાયો નથી. જોકે દીપડાઓ કોઈ એક ચોક્કસ જગ્યાએ સ્થાયી રહેતા ન હોય તેવામાં માનવ અને પશુ પર હુમલો કરનારા દીપડા પાંજરે પુરાયા છે કે કેમ તે કહેવું પણ મુશ્કેલ છે. ત્યારે લોકોને ખાસ કરીને રાત્રી દરમ્યાન સાવધાની રાખવી જરૂરી છે.