-
જિ.પં. સભ્ય દિપકભાઈ પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલો સર્વ સંમતિથી નિર્ણયઃ મહા સંમેલનની પ્રચાર-પ્રસાર સમિતિના અધ્યક્ષ પદે દિપકભાઈ પ્રધાનની કરાયેલી નિયુક્તિ
-
ત્રિ-દિવસીય દાનહ આદિવાસી એકતા પરિષદના મહા સંમેલનમાં જોવા મળશે દેશના વિવિધ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિની ઝલક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : આગામી તા.13, 14 અને 15મી જાન્યુઆરી, 2024ના રોજ ત્રિ-દિવસીય ‘દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ’નું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે દાનહ જિલ્લા પંચાયત સભ્ય શ્રી દિપકભાઈ પ્રધાનની અધ્યક્ષતામાં રખોલી ગ્રામ પંચાયતના સભાખંડમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાનહ આદિવાસી એકતા પરિષદના સંયોજક શ્રી વિનય કુંવરા, પ્રદેશ અધ્યક્ષ શ્રી સુરેશભાઈ વાઘાત, પૂર્વ રાષ્ટ્રીયઅધ્યક્ષ શ્રી બાબલુભાઈ નિકુળિયા, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રભુભાઈ ટોકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દાનહ આદિવાસી એકતા પરિષદ દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી તા.13 થી 15 જાન્યુઆરી, 2024 દરમિયાન ‘દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ’નું 31મું મહા સંમેલન યોજાઈ રહ્યું છે. જેના સુચારૂ આયોજન અને તૈયારીના ભાગરૂપે આજે રખોલી ગ્રામ પંચાયતના સભાખંડમાં રખોલી વિભાગના જિલ્લા પંચાયત સભ્ય શ્રી દિપકભાઈ પ્રધાનની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મહા સંમેલનનું સફળતાપૂર્વક આયોજન અને તેના સંચાલન તથા પૂર્વ તૈયારી બાબતે ગહન ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. જેમાં લગભગ 32 જેટલી સમિતિઓ બનાવવા બાબતે સહમતિ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે આયોજીત થનારા મહા સંમેલનની આયોજક સમિતિના અધ્યક્ષ પદે શ્રી વિનય કુંવરા, મહામંત્રી તરીકે શ્રી બાબલુભાઈ નિકુળિયા અને નાણાંકિય સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી સુરેશભાઈની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે રખોલી વિભાગના જિલ્લા પંચાયત સભ્ય શ્રી દિપકભાઈ પ્રધાનની સર્વ સંમતિથી આદિવાસી સાંસ્કૃતિક મહા સંમેલનના પ્રચાર-પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આગેવાનો દ્વારા નક્કી કરવામાંઆવ્યું હતું કે, આ મહા સંમેલન કાર્યક્રમના આયોજનમાં આવનારા સમયમાં આદિવાસી સમાજના તમામ જાગૃત આદિવાસી નાગરિકો, સામાજિક, રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત લોકો તેમની સ્વૈચ્છાથી જવાબદારી લેવા માંગશે તેવા આદિવાસી સમાજના સાથીઓને જવાબદારી સોંપવામાં આવશે. આ બેઠકમાં આંબોલી વિભાગના જિલ્લા પંચાયત સભ્ય શ્રી દિપક પટેલ, શ્રી નાના સાહેબ, આદિવાસી એકતા પરિષદના તમામ અધ્યક્ષો, મંડળના સભ્યો, તમામ ગ્રામ પંચાયતો અને નગરપાલિકા વિસ્તારના મુખ્ય સ્વયં સેવક ભાઈ-બહેનો તથા જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.