પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન એ.કે.સિંઘે પોતાની સંપૂર્ણ નિષ્ઠા સાથે બજાવેલી ફરજઃ પ્રશાસકશ્રીના સલાહકાર કાર્યાલયના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું ભવ્ય વિદાયમાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘની ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી બદલીનો આદેશ થતાં આજે તેમને રિલીવ કરાયા છે અને તેમના સ્થાને નવનિયુક્ત સલાહકાર તરીકે શ્રી વિકાસ આનંદે પોતાનો અખત્યાર સંભાળી લીધો છે.
આજે પ્રશાસકશ્રીના સલાહકારના કાર્યાલયમાં વિદાય લઈ રહેલા શ્રી અનિલ કુમાર સિંઘને ભાવભીનુંવિદાયમાન સ્ટાફના સભ્યો દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે નવનિયુક્ત પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદનું વેલકમ કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, 2019ના ઓગસ્ટમાં 1995 બેચના વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘની બદલી સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે કરવામાં આવી હતી. લગભગ 3 વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી એ.કે.સિંઘે પોતાની નિષ્ઠાથી ફરજ બજાવી પ્રશાસનની વિવિધ યોજનાઓને કાર્યાન્વિત કરાવવા સફળ રહ્યા હતા.
આજે પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે શ્રી વિકાસ આનંદે પોતાનો અખત્યાર સંભાળી લીધો છે. તેમની છાપ તેજતર્રાર અને ગતિશીલ અધિકારી તરીકેની હોવાથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સાથે કદમથી કદમ મેળવી નવા દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિર્માણમાં તેમની ભૂમિકા પણ મહત્વની રહેશે એવું આકલન વ્યક્ત થઈ રહ્યું છે.