કેટલાક ગામોમાં ઘર્ષણ થવાના એંધાણઃ અગાઉ સર્વેની કામગીરીમાં સારવણી ગામે વિવાદ સર્જાતા કામગીરી પડતી મુકાઈ હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: સુરત નાસિક અહમદનગર ગ્રીનફિલ્ડ સ્ટ્રેચ માટે ભારત સરકારના માર્ગ વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જમીન સંપાદન માટે 19 મે 2022 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી ખેડૂતો પાસે વાંધા અરજી મંગાવતા ચીખલી તાલુકાના ટાંકલ, નોગામાં, સુરખાઈ, બોડવાંક, વાંઝણા, રાનવેરી કલ્લા, કુકેરી, કાકડવેલ, માંડવખડક સહિતના ગામોના ખેડૂતો દ્વારા જમીન સંપાદનના સક્ષમ અધિકારી પ્રાંત અધિકારી નવસારી સમક્ષ વાંધા અરજીઓ રજૂ કરાઈ હતી જોકે ખેડૂતોના વાંધાઓનું કોઈ નિરાકરણ આવે તે પૂર્વે ખેડૂતોના સંબંધીત બ્લોક નંબરોની 7/12ની નકલમાં જમીન સંપાદન માટેની ફેરફાર નોંધ પણ પાડી દેવાઈ હતી. બાદમાં જાહેરનામું પ્રસિદ્ધ થયાને લાંબા સમયે ગત ઓક્ટોબર માસમાં હાઈવે ઓથોરિટીની સંબંધિત એજન્સી દ્વારા ટીપોગ્રાફીની સર્વેની કામગીરી હાથ ધરાતા ફરીસારવણી ગામે વિવાદ સર્જાયા બાદ પડતી મુકાઈ હતી.
હવે ફરી ચીખલી તાલુકાના ગામોમાં ટોપોગ્રાફી સર્વે માટે જમીન સંપાદનના સક્ષમ અધિકારી દ્વારા શિડયુલ જાહેર કરાયો છે અને જેમાં આજે 27 ડિસેમ્બરના રોજ નોગામાં, ટાંકલ, બોડવાંક, વાંઝણા, રાનવેરી કલ્લાનો સમાવેશ કરાયો હતો. આ માટે જરૂરી પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ વડાને સક્ષમ અધિકારી દ્વારા જાણ કરાઈ હતી. આ ઉપરાંત સંબંધીત ગામના તલાટીઓને પણ હાજર રહેવા સૂચના અપાય હતી. જોકે આજે ઉપરોક્ત ગામોમાં ટોપોગ્રાફી સર્વે માટે કોઈ એજન્સી આવી ન હતી ત્યારે હવે નવેસરથી સર્વે નો શિડ્યુલ આવશે તેમ લાગી રહ્યું છે.
સુરત નાસિક અહમદનગર હાઈવે માટે તંત્ર મક્કમ જણાઈ રહ્યું છે. બીજી તરફ કેટલાક ગામોમાં ખેડૂતો વળતર કેટલું ચૂકવવામાં આવશે તેની સ્પષ્ટતા કરવાની માંગ કરી રહ્યા છે તો કેટલાક ગામોમાં ખેડૂતો હાઈવે સામે જ વિરોધ કરી રહ્યા છે ત્યારે ટીપોગ્રાફી સર્વે માટેની કવાયતથી ઉપરોક્ત ગામોના ખેડૂતોમાં ઉચાટ ફેલાવવા પામ્યો છે તેવામાં તંત્ર સાથે ઘર્ષણ થવાની શકયતા જણાઈ રહી છે.
ઘેજમાં ઝાડો કાપવા સામે વિરોધ નોંધાયો
ચીખલી તાલુકાના ઘેજમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ-વેમાં સંપાદિત જમીનમાં ઝાડો અંગેનીફરિયાદમાં નિરાકરણ ન આવતા ખેડૂતોએ ઝાડો કાપવા સામે વિરોધ કરતા તંત્રના અધિકારીઓ સ્થળ પર જઈ ફરી પંચકયાસ કરવાનું જણાવતા મામલો થાળે પડ્યો હતો. ઘેજ ગામના બ્લોક નંબર 1993, 1996, 1910, 1907, 1908, 1909 અને 1948 માં ઝાડો પંચકયાસમાં નોંધાયેલા નથી. ઓછા નોંધાયેલા કે તેવી રજૂઆત સક્ષમ અધિકારી સમક્ષ કરી ખેડૂતો દ્વારા ઝાડો કાપવાના વિરોધ કરાતા નવસારી પ્રાંત કચેરીના નાયબ મામલતદાર, મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર આવતા ખેડૂતોએ રજૂઆત કરતા વાતાવરણ ગરમાયું હતું. બાદમાં અધિકારીઓ દ્વારા ફરી પંચકયાસ કરવાનું જણાવતા મામલે થાળે પડ્યો હતો. આમ વિવાદવાળા કિસ્સામાં ફરી પંચકયાસનું આયોજન કરાયું હતું.