સરકારી કામકાજ પોલીસ ક્લીયરન્સ કે પરિવારને પડતી મુશ્કેલીઓ અંગે આરોપીઓને માહિતગાર કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: ઈન્ચાર્જ પોલીસ મહા નિર્દેશક સુરત વાબાંગ ઝમીરના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને વલસાડ પોલીસ હેડક્વાટર્સતાલીમ ભવન ખાતે કેફી પદાર્થથી થતા નુકશાન અને તેથી ઉભી થતી વિવિધ સામાજીક-આર્થિક પારિવારીક સ્થિતિઓ અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એન.ડી.પી.એસ. ગુનામાં સંડોવાયેલ કુલ 32 આરોપીઓનું પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ગુનામાં સામેલ થવાથી ઉભી થતી તમામ ભવિષ્યની પરિસ્થિતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારી કામકાજોમાં ઉપયોગી પોલીસ ક્લિયરન્સ મળશે નહી, પરિવારની કાળજી લઈ શકાતી નથી. આર્થિક લાચારીની સ્થિતિ પરિવારમાં ઉભી થતી હોય છે. નશો કર્યા પછી વધુ બળાત્કાર કે અન્ય ગુના આચરાઈ જતા હોય છે. યુવાધન બરબાદ થતું હોય છે તેથી પોતે અને પરિવારને માદક પદાર્થોથી દૂર કેમ રાખવા અંગેનું તમામ 32 આરોપીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.