(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીના સાયલી ગામે આવેલ ઇન્ટરનેશનલ પેકેજિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું કંપનીમાં જ હૃદય રોગના હૂમલામાં મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર વિનોદકુમાર યાદવ (ઉ.વ.50) રહેવાસી હેરીજન રેસીડન્સી, બાલાજી મંદિર રોડ, આમલી- સેલવાસ. જેઓ છેલ્લા દસ વર્ષથી સાયલી ખાતેની ઇન્ટરનેશનલ પેકેજિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જેઓ ગત રોજ રાત્રિ દરમિયાન ફરજ પર હતા, તે સમયે મળસ્કે ત્રણ વાગ્યાના અરસામાં અચાનક છાતીમાં દુઃખાવો થતાં તેઓ જગ્યા પર જ ઢળી પડયા હતા. જેને જોઈ કંપનીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ તાત્કાલિક કંપની સંચાલકને જાણ કરી હતી.
કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અહીં ફરજ પરના તબીબોએ વિનોદકુમાર યાદવને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગેની નોંધ લઈ આગળની તપાસ સાયલી પોલીસ કરી રહી છે.