(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની સબજેલમાં બંદીવાન કેદીઓના માનસ ઉપર હકારાત્મક પ્રભાવ પડે તે હેતુથી બે દિવસીય ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈસ્કોન દ્વારા ભજન-કિર્તનનો કાર્યક્રમયોજવામાં આવ્યો હતો. જેના માધ્યમથી કેદીઓની નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં પરિવર્તન કરવામાં સહાયતા મળે અને મનની શાંતિનો અનુભવ થઈ શકે.
આ અવસરે 27 ડિસેમ્બરના રોજ ખાસ ઉપસ્થિત રહેલા મનોચિકિત્સક ડૉ. પર્વતરાજ દ્વારા માદક પદાર્થની લત છોડાવવાના સંદર્ભમાં પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. જ્યારે 28મી ડિસેમ્બરે શ્રીમતી અસ્લેશા હાટેકરના સહયોગથી યોગ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કેદીઓમાં એક નવી ઊર્જાનો સંચાર થઈ શકે એ માટે યોગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલવાસની જેલમાં બંધ કેદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના માનસને બદલવા માટે હકારાત્મકતા સાથે સહમતિ દર્શાવી હતી.