બાળકના આંતરમનમાં કઇંક નવું જાણવાની અને કરવાની જીજ્ઞાશા રહેતી હોવાથી તેથી તે પ્રથમ વૈજ્ઞાનિક હોય છેઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : રાષ્ટ્રીય શૈક્ષણિક અને સંશોધન પરિષદ, નવી દિલ્હીના સહયોગથી શિક્ષણ નિયામકની કચેરી, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા આયોજિત બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2023-‘24નુંઉદ્ઘાટન આજે સવારે 10:00 વાગ્યે સરકારી માધ્યમિક શાળા, મસાટના પ્રાંગણમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ ઉપસ્થિત રહેલા સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સહાયક શિક્ષણ અધિકારી શ્રી ડી.ડી. મન્સૂરી, સહાયક શિક્ષણ અધિકારી શ્રી પારિતોષ વી. શુક્લા, સહાયક શિક્ષણ નિયામક શ્રી બી. બી. પાટીલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જી. એચ. વોરા, શિક્ષણ અધિકારી (રમતગમત) શ્રી એ. બી. ભોયા, શિક્ષણાધિકારી શ્રી આર. આર. મોહિલે, શિક્ષણ અધિકારી અને રાજ્ય સમાવિષ્ટ શિક્ષણ સહસંયોજક શ્રી આઈ.વી. પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા દમણના આચાર્યશ્રી, સંઘપ્રદેશની વિવિધ શાળાઓના આચાર્યો, બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆતમાં સહાયક શિક્ષણ નિયામક શ્રી પારિતોષ વી.શુક્લાએ આ દ્વિવાર્ષિક પ્રદર્શનની રૂપરેખા રજૂ કરી હતી. જ્યારે શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલે તેમના સંબોધનમાં વિજ્ઞાનનું મહત્વ અને આ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાળક એ પહેલો વૈજ્ઞાનિક છે જેના હૃદયમાં કંઈક નવું જાણવાની અને કરવાની ઈચ્છા હોય છે. આભારવિધિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી. બી. પાટીલે આટોપી હતી.
અત્રે આયોજીત વિજ્ઞાનપ્રદર્શનમાં સરકારી માધ્યમિક શાળા, આચાયના આચાર્ય શ્રી ડી.પી.સોલંકી મુખ્ય સંયોજક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુખ્ય થીમ વિજ્ઞાન અને ટેક્નોલોજી અને સોસાયટી હેઠળ 5 થીમ રાખવામાં આવી છે જેમાં (1)આરોગ્ય (2)જીવનશૈલી અને પર્યાવરણ (3)કૃષિ (4)માહિતી અને પરિવહન અને (5)કોમ્પ્યુટેશનલ વિચારસરણી.
આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 156 મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં વર્કિંગ મોડલની સંખ્યા 55, સ્ટેટિક મોડલની સંખ્યા 49 અને પ્રોજેક્ટની સંખ્યા 52 છે. ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલે પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રદર્શનના પ્રથમ દિવસે 550 જેટલા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય ગ્રામજનોએ તેની મુલાકાત લીધી હતી.