દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક પંચાયત-નગરપાલિકા વિસ્તાર, મહોલ્લા-ફળિયાં તથા વિવિધ હાઉસિંગ સોસાયટીઓમાં સુંદરકાંડ, રામાયણ સંકિર્તન, હનુમાન ચાલીસાના પાઠ, શોભાયાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : આજે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન સાથે સમગ્ર દુનિયા રામમય બની ગઈ હતી. રામ ભક્તોએ સમગ્ર દુનિયામાં આજના પાવન પ્રસંગની ખુબ જ ધૂમધામ અને ભક્તિપૂર્વક ઉજવણી કરી હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ખૂણે ખૂણે અને મહોલ્લે મહોલ્લે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઠેર ઠેર સુંદરકાંડ, રામાયણ સંકિર્તન, હનુમાન ચાલીસાના પાઠ, શોભાયાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો અનેમહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
અયોધ્યા ખાતે આયોજીત શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને સામુહિક રીતે જીવંત નિહાળવાની પણ વ્યવસ્થા ઠેર ઠેર કરવામાં આવી હતી. દાદરા નગર હવેલી અને દમણ-દીવની વિવિધ હાઉસિંગ સોસાયટીઓ, વેપારી સંગઠનો, હિંદુ અને સનાતન ધર્મીઓએ પોતાની દુકાનો સડકો અને ઈમારતોની બહાર શ્રી રામની ધ્વજા લગાવી સમગ્ર વાતાવરણ રામમય અને પવિત્ર બનાવી દીધું હતું. દિવાળીની માફક દુકાન, બજાર અને સોસાયટીઓ રોશનીથી ઝગમગી ઉઠી હતી. મંદિરોમાં સ્વચ્છતા અભિયાનની સાથે દિવડાં અને ફૂલોથી શણગાર કરાયો હતો.
દમણના શ્રી જલારામ બાપા મંદિર, દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા કરાયેલું ઉત્કૃષ્ટ આયોજન, દમણના દલવાડા ખાતે આવેલ બાબા વાસુકીનાથ મંદિરમાં કરાયેલી ભવ્ય વ્યવસ્થા, રાણા સ્ટ્રીટ, દાભેલ, આંટિયાવાડ, સોમનાથ, કચીગામ, પરિયારી, દમણવાડા, કડૈયા, મરવડ, ભીમપોર, પટલારા, મગરવાડા, ઘેલવાડ સહિત તમામ સ્થળોએ ધૂમધામ અને ભક્તિપૂર્વક રામોત્સવ મનાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપઓબીસી મોર્ચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશ પટેલ, શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશ આગરિયા, ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, શ્રી લખમભાઈ ટંડેલ, શ્રી નવિનભાઈ પટેલ સહિતના નેતાઓએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યા હતા.