પલસાણા, સોમનાથ, બાસુકીનાથ મહાદેવ, કુંતેશ્વર, બિન્દ્રાબિન, લવાછા, નામધા, વટાર વગેરેના શિવાલયોમાં ઉમટશે શિવભક્તોના ઘોડાપૂર
મહાશિવરાત્રીનો શુભ સમય આજે રાત્રે 9:57 થી આવતી કાલ સાંજે 6:17 વાગ્યા સુધીનો રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : આવતી કાલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા વાપી વિસ્તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. આવતી કાલે ઉદવાડા નજીક પલસાણા, દમણના સોમનાથ, બાસુકીનાથ મહાદેવ, કુંતેશ્વર મહાદેવ, બિન્દ્રાબિન, લવાછા, નામધા જેવા સ્થળોએ આવેલા ભગવાન મહાદેવના શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટશે.
માન્યતા મુજબ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એવું કહેવાય છે કે, જે પણ મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખે છે ભગવાન ભોલેનાથ તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. એવું પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસ ભગવાન શિવને ધતૂરો અર્પણ કરવાથી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
હિન્દુકેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રી આવતીકાલ તા.8મી માર્ચ, 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શિવભક્તો વિધિપૂર્વક ભગવાન ભોલેનાથ એવા દેવોના દેવ મહાદેવની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. આ સાથે મહાશિવરાત્રીના દિવસે લોકો સવારથી રાત સુધી જાગરણ કરી ભગવાન શિવની પૂજા કરે છે.
મહાશિવરાત્રી 2024નો શુભ સમય
પંચાંગ અનુસાર માઘ(મહા) મહિનાની કૃષ્ણ પક્ષ 13ની તિથિ 08 માર્ચ, 2024ના રોજ રાત્રે 9:57 વાગ્યાથી શરૂ થશે અને 09 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 વાગ્યે સમાપ્ત થશે.
ઉપવાસનો સમય
ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા. એવી પણ માન્યતા છે કે શિવરાત્રના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા. એવું કહેવાય છે કે, આ દિવસે 64 અલગ અલગ સ્થળોએ શિવલીંગ પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.