આયુષ્માન ભારત વીમા યોજના અંગે પણ આપવામાં આવેલી વિસ્તૃત જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે સરપંચ શ્રી મુકેશ ગોસાવીના અધ્યક્ષસ્થાને વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી મહિલાઓના સર્વાંગી વિકાસ માટેના અનેક દ્વારો ખુલ્યા છે. તેમણે દમણવાડાની બહેનો દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી પાપડ બનાવવાની શરૂ કરવામાં આવેલ પ્રવૃત્તિને ઔર વધુ વિકસાવવા સલાહ આપી હતી. સરપંચશ્રીએ આગામી મંગળવારથી શરૂ થઈ રહેલ ધોરણ 10 અને 12માના વિદ્યાર્થીઓની માતાઓને પોતાનાસંતાન માટે ખાસ કાળજી લેવા પ્રેરિત કર્યા હતા અને દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 4 વર્ષથી ધોરણ 10 અને 12માના વિદ્યાર્થીઓની કાળજી લઈ પરીક્ષા કીટના કરાતા વિતરણને પણ યાદ કરાયા હતા. સરપંચશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સંઘપ્રદેશમાં રહેતા તમામ પરિવારોનું ભવિષ્ય મોદી સરકારે સલામત બનાવ્યું છે. કારણ કે, અહીં મેડિકલ, એન્જિનિયરીંગ, લો, નર્સિંગ, હોટલ મેનેજમેન્ટ સહિતના ઉચ્ચ શિક્ષણના અનેક અભ્યાસક્રમો શરૂ થયા છે. તેથી પોતાના સંતાનોને ભણાવવા માટે વિશેષ કાળજી લેવા માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા દમણવાડાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલે આયુષ્માન ભારત વીમા યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જેમનો વીમો રિન્યુ નથી થયો કે આયુષ્માન ભારત વીમા યોજનાના નવા લાભાર્થી તરીકે જોડાવા ઈચ્છતા હોય તેઓએ તાત્કાલિક આયુષ્માન ભારત આરોગ્ય મંદિરનો સંપર્ક કરવા ઉતાવળ કરે. કારણ કે, છેલ્લી ઘડીએ વધુ પડતા ધસારાના કારણે યોજનાના લાભથી વંચિત પણ રહી જવાની નોબત આવી શકે છે, તેથી આ યોજનાનો સમયસર વધુમાં વધુ લાભ લેવા હાકલ કરી હતી.
આ કાર્યક્રમનું સંચાલન શ્રી રોહિત ગોહિલે કર્યું હતું. આ પ્રસંગે દમણવાડા ગ્રા.પં.ના સભ્ય શ્રી વિષ્ણુ બાબુ તથા સેક્રેટરી શ્રીપ્રિયાંક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.