કંપનીમાં રાખેલ રો મટિરિયલ, મશીનરી અને કંપનીના શેડને થયેલું નુકસાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસી એન્જિનિયરિંગ ઝોનમાં કાર્યરત ઋષિકા પેકેજીંગ કંપનીમાં બપોરના અરસામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. થર્મોકોલમાંથી પેકિંગ મટિરિયલ બનાવતી કંપનીના પ્રથમ માળે રાખેલ રો મટિરિયલમાં આગ લાગતા ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં રાખેલ રોમટિરિયલ, મશીનરી અને કંપનીના શેડને નુકસાન થવા પામ્યું હતું. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા સરીગામ ફાયર સ્ટેશન, સરીગામની મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપનીની ફાયર ટીમ તેમજ ઉમરગામની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી આગ પર કાબુ મેળવવામાં સફળ થઈહતી. આ સમય દરમિયાન આગના ઘટનાની જાણ પોલીસતંત્રને થતાં ઘટના સ્થળ પર પોલીસની ટીમ ધસી આવી આગના કારણે ફેલાયેલા અરાજકતાકના માહોલ ઉપર કાબુ મેળવી ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ લેવા માટે વ્યવસ્થા કરવામાં મદદરૂપ થઈ હતી. વહેલા મોડા જીપીસીબીના અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચી આગ લાગવાનું મુખ્ય કારણ સંદર્ભે તપાસ હાથ ધરી હતી. આ આગમાં કોઈ જાનહાની કે ઘાયલની ઘટના સામે આવવા પામી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.