સમૂહલગ્નમાં જોડાઈને લગ્ન કરવાથી ગરીબ પરિવારને આર્થિક બોજ ઓછો પડે છેઃ કપિલ મહારાજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માકંડબન ગામના ગુરૂસેવા સત્સંગ મંડળ ટ્રસ્ટ દ્વારા ઉલસપેંડી ખાતે બીજો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં 27 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાપાડ્યા હતા.
આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નિવૃત્ત સહાયક માહિતી નિયામક નટુભાઈ પટેલે જણાવ્યું કે, ધરમપુર તાલુકાના દુર્ગમ વિસ્તારમાં સમૂહલગ્નનું આયોજન થવાથી મોંઘવારીના સમયમાં અનેક પરિવારોને મોટા ખર્ચમાંથી બચાવી લઈ આર્થિક રીતે મદદરૂપ થયા છે. જે બદલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ગામના આગેવાનો દયારામભાઈ દરવાડા અને રમણભાઈ જોગારીની કામગીરીની સરાહના કરી હતી. મંડળના પ્રમુખ ગમનભાઈ માહલાએ જણાવ્યું કે, ઉલસપેંડી જેવા અંતરિયાળ ગામમાં સમૂહલગ્નનું આયોજન કરી મંડળે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સમૂહ લગ્ન થતા રહે છે પરંતુ આવા ઉંડાણના આદિવાસી વિસ્તારમાં આ બીજા સમૂહલગ્ન છે. 27 નવદંપતિઓએ દાંપત્ય જીવનમાં પગલા પાડયા છે ત્યારે તેમનું જીવન વ્યસન મુક્ત રહે અને સમાજમાં એકબીજાને મદદરૂપ થાય એવા આશીર્વાદ આપ્યા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયના પારડીના કપિલ મહારાજે જણાવ્યું કે, કુદરતે ધરતી પર સંસારી જીવન જીવવા માટે ઉપરથી જ જોડીઓ નક્કી કરીને મોકલે છે. તે જોડી સાત-સાત ભવથી હોય છે. ધાર્મિક ગ્રંથોમાં પણ આ ઉલ્લેખ છે. સૌ ગરીબ પરિવાજનો આવા સમૂહલગ્નમાં જોડાઈને લગ્ન કરે તો તેમને આર્થિક બોજ ઓછો પડે છે. ધાર્મિક જીવન જીવવાથી સમાજને આવનારી પેઢી પણસંસ્કારી મળશે એમ વધુમાં જણાવ્યું હતું.
ગણદેવીના દાતા અમૃતભાઈ પટેલે વર અને કન્યાને કપડા, ટ્રસ્ટ દ્વારા સ્ટીલના બેડા, કપિલ મહારાજ દ્વારા થાળી સેટ અને સુરખાઈના નટુભાઈ પટેલ (બાપા) દ્વારા 27 યુગલોને થાળી, વાટકી અને ગ્લાસ ભેટ રૂપે આપવામાં આવી હતી. ગામના આગેવાન દયારામભાઈ દરવાડાએ આભારવિધિ કરી હતી.