યોગ્યતા-આધારિત શિક્ષણ અપનાવવાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળવાની સંભાવનાઃ સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને NCERTના સંયુક્ત પ્રયાસથી કરાયેલો સર્વે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને NCERTના સંયુક્ત પ્રયાસથી સફળતાપૂર્વક ‘‘ઓળખ” મૂલ્યાંકન સર્વે હાથ ધર્યો હતો. આ પ્રક્રિયામાં, ધોરણ 3, 6 અને 9ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. NCERTએ પ્રથમ રાજ્ય શિક્ષણ સિદ્ધિ સર્વેક્ષણ (SEAS)હાથ ધર્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 1.1 કરોડ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આ સર્વેમાં ભાગ લેનાર 239 શાળાઓના લગભગ 6730 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી, ખાનગી, અર્ધ-સરકારી, કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય જેવી તમામ પ્રકારની શાળાઓએ ભાગ લીધો હતો. જેનાથી વિવિધ શૈક્ષણિક માધ્યમોમાં શિક્ષણના ધોરણોની સમજ મળશે.
આ સર્વેમાં 239 નિષ્ણાંત ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર્સ અને 239 નિરીક્ષકોને કામે લગાડવામાં આવ્યા હતા, જેઓ શાળા કક્ષાએ સમગ્ર સર્વેનું મોનિટરિંગ કરતા હતા. આ સાથે NCERTની ટીમે પણ શાળાઓની મુલાકાત લીધી હતી. જેમાં મદદનીશ શિક્ષણ નિયામક, તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO), (DIET) ફેકલ્ટી અને (BRC) ટીમો જેમણે પ્રક્રિયામાં મદદ કરી હતી. તેમણે રૂબરૂ શાળાની મુલાકાત લીધી હતી, સર્વેની કામગીરી નિહાળી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
આ કસોટી શિક્ષણમાં નવીનતા અને ગુણવત્તા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. સ્ટેટ એજ્યુકેશનલ એચિવમેન્ટ સર્વે (SEAS)એ બેઝલાઇન એસેસમેન્ટ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે જે ગોખવાની પ્રક્રિયાના બદલે સક્ષમતા-આધારિત શિક્ષણ(Competency Based Education) તરફના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. યોગ્યતા-આધારિત શિક્ષણ અપનાવવાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળવાની સંભાવના છે. ઓળખ મૂલ્યાંકનના પરિણામોથી અમને એ જોવા માટે પણ મદદ મળશે કે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણનું સ્તર દેશના સ્તર સાથે કેવી રીતે મેળ ખાય છે.