(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૪: જિલ્લામાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. કપરાડામાં ૩૭૭ મી.મી. અને ધરમપુરમાં ૩૪૦ મી.મી. વરસાદ થયો હતો. જેને કારણે વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થાય એ પહેલા જ જિલ્લા વહીવટી તંત્રએ આગમચેતી પગલા રૂપે એનડીઆરએફની ૨ ટીમે રાત્રિ દરમિયાન જ ૫૫૦ થી ૬૦૦ જેટલા લોકોનું સ્થળાંતર રામલલ્લા મંદિર અને પારડી શાળામાં આશ્રયસ્થાનોમાં કર્યું હતુ. સેગવી ગામમાંથી એનડીઆરએફએ ૭ લોકોનું રેસ્ક્યું કર્યું હતું. પારડી તાલુકાના સોનવાડા ગામનો સંપર્ક કપાતા એમને રહેવાની અને ભોજન વ્યવસ્થા કરવામાં આવી ગઈ છે.
તેમજ આજરોજ પણ નદીમાં પાણીની સપાટી વધતાં આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયેલા લોકોને ભોજન અને બીજી જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમુક ગામોમાં ઊંચાણવાળા સ્થળો પર આશ્રય લીધેલા લોકોને પણ ભોજનની પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રિથી ફિલ્ડમાં ફરજ બજાવી રહ્યા છે. જો જરૂરિયાત પડે તો એમને ફરી થી જરૂરી વ્યવસ્થા પૂરી પાડવાની તૈયારી વહીવટીતંત્રએ કરી લીધી હોવાનું જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. કોઈ પણ મુશ્કેલીમાં મદદ માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઇમરજન્સી સંપર્ક નંબર – ૨૪૩૨૩૮ અને કલેકટરશ્રીના ટ્વીટર – @collectervalsad અને ડીડીઓશ્રીના ટ્વીટર @DdoValsad પર સંપર્ક કરી મદદ મેળવી શકાશે.