દક્ષિણ ગુજરાતના 20 જેટલા જિલ્લાઓમાંથી 126 જેટલા
શિક્ષાર્થીઓએ પ્રશિક્ષણ મેળવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.26: કિલ્લા પારડી સ્વાધ્યાય મંડળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ- દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગદળ દ્વારા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ સમાપન કાર્યક્રમ રવિવારે અગિયાર કલાકે યોજવામાં આવ્યો હતો. તારીખ 19 મે થી આરંભ થયેલ આ પ્રશિક્ષણ વર્ગ આજરોજ તારીખ 26 મેના રોજ સમાપન થયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના 20 જિલ્લાઓમાંથી 126 જેટલા શિક્ષાર્થીઓએ 18 જેટલા પ્રશિક્ષિત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શારીરિક, માનસિક અને બૌદ્ધિક પરીક્ષણ લીધું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત યુવાનોનું સંગઠન એટલે બજરંગ દળ, જે સેવા – સુરક્ષા – સંસ્કારના ધ્યેય સાથેયુવાનોમાં બૌદ્ધિક વિકાસ વધારવા તથા નૈતિક મૂલ્ય આધારિત જીવનપદ્ધતિ, રાષ્ટ્ર માટેના આદર્શ નાગરિક બનાવવા અને રાષ્ટ્રપ્રેમ, સ્વાભિમાન તથા હિન્દુત્વની ભાવના જગાડવા માટે શારીરિક, માનસિક અને બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પારડી ખાતે આવો જ એક શૌર્ય પ્રશિક્ષણ વર્ગ તા 19 મે થી 26 મે સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતના 20 જેટલા જિલ્લાઓમાંથી 126 જેટલા શિક્ષાર્થીઓને પ્રશિક્ષણ અપાયું હતું. જેમાં જુડે કરાટે, લાઠી દાવ, રાઈફલ શૂટિંગ, યોગ, પ્રાણાયામ, શિસ્ત સહિતની 18 જેટલા પ્રશિક્ષિત શિક્ષકોએ પ્રશિક્ષણ આપ્યું હતું. જે પ્રશિક્ષણ વર્ગનું રવિવારના રોજ પારડી સ્વાધ્યાય મંડળ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે કેન્દ્રીય સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રિય પાલક ગોપાલજી, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઇ, વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ, સ્વાધ્યાય મંડળના કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રતાપ વી ઠોસર, વાપી પાલિકના ઉપપ્રમુખ અભયભાઈ શાહ ઉપસ્થિત રહી ઉદબોધન કર્યું હતું. તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સી.પી. વાનાણી, રાજેશભાઈ રાણા, અજયભાઈ વ્યાસ, અમિત પટેલ, કમલેશ કયાડા,રાકેશ રાણા પિયુષભાઈ શાહ, હિરેનભાઈ શાહ, નટુભાઈ પટેલ, મયુર કદમ, વિક્રમસિંહ ભાટી સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.