(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલીના નરોલી પંચાયતની આંગણવાડી અને ખરડપાડા અથાલ આંગણવાડીની બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સરપંચ શ્રીમતી લીનાબેન પટેલ, આદિત્ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીની અધ્યક્ષતામાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં આંગણવાડીની મહિલા સ્પર્ધક બહેનોએ આખા અનાજમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ બનાવી પ્રસ્તુત કરવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર આંગણવાડી બહેનોને ઇનામ આપીપ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિત્ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, જાડા બરછટ અનાજમાંથી બનાવવામાં આવતી વિવિધ વાનગીઓને નાના નાના બાળકોને ખવડાવવામાં આવે તો તેઓ કુપોષણ મુક્ત થઈ શકે છે, કારણ કે, આખા અનાજમાંથી બનાવેલ વાનગીઓ બાળકો માટે ખુબ જ પૌષ્ટિક આહાર છે.
આ અવસરે આંગણવાડીના સુપરવાઈઝર શ્રીમતી જાગૃતિબેન ચૌહાણ, ખરડપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહેનો સહિત આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી.