(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પીપલસેત-સતીમાળ ખાતે નવનિર્મિત આંગણવાડીના મકાન-નંદઘરનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગનારાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે કરાયું હતું.
આ અવસરે મંત્રીશ્રીએ આંગણવાડીમાં નોંધાયેલા બાળકો, કિશોરીઓ, ધાત્રી અને સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર નિયમિત આપવા જણાવ્યું હતું. કોરોના મહામારીમાં જે બાળકો અનાથ બન્યા છે તેમને મુખ્યમંત્રી બાળ કલ્યાણ યોજના હેઠળ મહિને ચાર હજારની સહાય આપવામાં આવે છે, જેનો સંબંધિતોને લાભ અપાવવા માટે મદદરૂપ બનવા જણાવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગની રાજ્ય સરકારની યોજનાઓનો લાભ ગામના દરેક બાળકો અને મહિલાઓને મળે તે માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.
આ અવસરે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ ગરેલ, કારોબારી સમિતિ અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોપાળભાઈ, જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ અને મીનાક્ષીબેન, તાલુકા પંચાયત સભ્ય નિરંજનાબેન, તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડ, મામલતદાર કે.એસ.સુવેરા, ગ્રામ પંચાયત સભ્યો, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, ગ્રામજનો હાજર રહ્યા હતા.