(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: માન. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી જનજનને જોડી તંદુરસ્ત અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે ગુજરાત સરકારે ગુજરાત પોષણ અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજરોજ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી ખાતે ‘‘કુપોષણ મુક્ત નવસારી” અંગેની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં કુપોષિત બાળકોને ગુણવત્તાયુકત પૌષ્ટિક આહાર મળે અને છેવાડાના તમામ બાળકોને ફરી એકવાર ભગીરથ પ્રયાસથી કુપોષણ મુકત નવસારી બનાવવા અનુરોધ કર્યો હતો. કુપોષણ મુકત બનાવવાના અભિયાનમાં એન.જી.ઓ., આંગણવાડી વર્કરો, ગામ આગેવાનોના સહયોગ લેવા જણાવ્યું હતું. રેડ ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતુ. કુપોષણમુક્ત નવસારી કાર્યક્રમનો મુખ્યહેતુ રેડ ઝોન વાળા બાળકો ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી કરવાનો છે. આ માટે જિલ્લાના તમામ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. જયાં રેડ ઝોનમાં બાળકો છે તે ગામમાં પોષણમિત્ર અને આંગણવાડી કાર્યકરની મદદથી બાળકોની વિશેષ કાળજી રાખવા કામગીરી હાથ ધરાશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા આખુ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગશે. તમામ અધિકારીઓને કુપોષણ મુકત નવસારી જિલ્લા અભિયાન માટે જનઆંદોલનરૂપે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
આ અવસરે અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ, અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.