(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની 37મી વાર્ષિક સાધારણ સભા સમાજભવન ખાતે કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ ઝેડ. સોલંકીની અધ્યક્ષતામાં મળી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સભાસદો-ટ્રસ્ટી મંડળની હાજરીમાં સૌપ્રથમ દિવંગતોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ચિ.કુમારી જલપી સોલંકીની સુંદર પ્રાર્થના પછી વર્ષ 2024 થી 2027 ત્રિવાર્ષિક કારોબારીની રચના કરવામાં આવી હતી. સર્વસંમતિથી કારોબારી પ્રમુખ તરીકે વધુ એકવાર શ્રી બળવંતસિંહ સોલંકીની નિમણૂંક કરવામાં આવી હતી. સતત પાંચમી ટર્મ માટે થયેલી તેમની નિમણુંકને સૌએ તાળીઓના ગડગડાથી વધાવી લીધી હતી.
શ્રી બળવતસિંહ સોલંકીએ સતત 12 વર્ષથી સેવાકાર્યપછી વધુ ત્રણ વર્ષ માટે સેવાની તક આપી તે માટે સૌનો આભાર વ્યક્ત કર્યો અને સંસ્થાના વિકાસ માટે બનતા તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. ટ્રસ્ટી-પ્રમુખશ્રી ઠાકોરસિંહ સોલંકીએ સંસ્થાના વિકાસની માહિતી આપી હતી અને ટ્રસ્ટી મંડળ, કારોબારી, દાતાઓ તથા સ્વયંસેવકોએ આપેલા સહકાર માટે અભિનંદન પાઠવી આભાર વ્યકત કર્યો હતો. વાર્ષિક અહેવાલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. આભાર દર્શન અને રાષ્ટ્રગીત સાથે સભા સમાપ્ત થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવક્તા સમિતિ અધ્યક્ષ અને ટ્રસ્ટી શ્રી રામસિંહ દેસાઈએ કર્યું હતું.