ભાજપના સ્થાપના દિવસ 6 એપ્રિલથી 14મી એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ સુધીના 9 દિવસ દરમિયાન આસામના ઘર ઘર સુધી પ્રધાનમંત્રી અને ભાજપ સરકારની જન કલ્યાણકારી નીતિઓ પહોંચાડવાનો લક્ષ્યાંક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05: ભારતીય જનતા પાર્ટી ઓ.બી.સી. મોર્ચાના આસામના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન ભાજપ ઓ.બી.સી. મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. કે. લક્ષ્મણ સાથે પત્રકાર પરિષદમાં ભાગ લઈ આસામ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આસામ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોર્ચાના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ 6 એપ્રિલથી 14મી એપ્રિલ, ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ સુધી કરાનારા અનેક કાર્યક્રમો અને રાષ્ટ્રવ્યાપી ‘ઘર ચલો, ગાંવ ચલો’ અભિયાનની રૂપરેખા સમજાવી હતી અને 11મી એપ્રિલ મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિને પણ આ અભિયાનમાં જોડી લેવા સમજ આપી હતી.
6 એપ્રિલથી 14મી એપ્રિલ સુધીના 9દિવસોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકાર દ્વારા લાગૂ અનેક જન કલ્યાણકારી યોજનાઓને લઈ ઓ.બી.સી. મોર્ચાના કાર્યકર્તાઓ આસામ રાજ્યના ઘર ઘર સુધી પહોંચી નવ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાગૂ જનહિતના કામોની જાણકારી જન જન સુધી પહોંચાડાશે.
આ પ્રસંગે ઓ.બી.સી. મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. કે. લક્ષ્મણ, આસામ રાજ્યના ઓ.બી.સી. મોર્ચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ ઉપરાંત આસામના મંગલદોઈના સાંસદ શ્રી દિલીપ સૈકિયા, પ્રદેશ મહામંત્રી શ્રી ફણીન્દ્ર નાથ શર્મા, પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોર્ચાના અધ્યક્ષ શ્રી અશ્વિની રાય સરકાર, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને રાજ્ય પ્રભારી શ્રી અજય કુમાર, શ્રી સૌરભ કુમાર નાથ, શ્રીમતી ધનિતા મેડી સહિત વિવિધ પ્રકોષ્ટના અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા.