(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.24: ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી નરેશભાઈ બંથીયાએ ઉમરગામ જીઆઇડીસીમાંથી પસાર થતું કુદરતી વહેણને અવરોધતા કંપનીઓમાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યા તરફ અગમચેતીના ભાગરૂપે કામગીરી કરવા સંબધિત વિભાગો અને જન પ્રતિનિધિઓનું ધ્યાન દોર્યું છે. ઉમરગામ-સંજાણ માર્ગ ઉપર આવેલ પ્રકાશ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જૈન મંદિર તેમજ રશ્મિ રાઇટીંગ પ્લોટ નંબર 2811/ખ્્રૂ2812 ના પાછળના ભાગથી પસાર થતું કુદરતી વહેણ જે ઉમરગામ જીઆઈડીસીમાં પ્રવેશે છે એના ઉપર વેસ્ટ કચરો નાખીને અવરોધ કરવામાં આવેલ છે. જેના કારણે પાણીનું વહેણ અટકતા ઉમરગામ જીઆઈડીસીમાં કાર્યરત ઘણી કંપનીઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાની ભીતિ દેખાઈ રહી છે. બે વર્ષ પહેલા ચોમાસા દરમિયાન પાણીનો અવરોધ અટકતા ઉમરગામ જીઆઇડીસીની બાર જેટલી કંપનીઓમાં પાણીના ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને કંપનીઓને મોટી રકમની નુકસાની વેઠવા પડી હતી.
ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી નરેશભાઈ બંથીયાએ તાજેતરમાં જ આ સ્થળેનિરીક્ષણ કરતા કુદરતી વહેણ ઉપર નકામો કચરો નાખી અવરોધ ઊભો કર્યા સામે આવ્યું છે. જેના કારણે બે વર્ષ પૂર્વે બનેલી પાણી ભરાવાની સમસ્યાનું પુનરાવર્તન થવાની પ્રબળ શકયતા જોતા પ્રમુખશ્રી નરેશભાઈ બંથીયાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર, ઉમરગામ મામલતદાર, ચીફ ઓફિસર ઉમરગામ નગરપાલિકા, દહાડ ગ્રામ પંચાયત અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરનુ ધ્યાન દોરી સર્જાતી સમસ્યાની શકયતા સામે યોગ્ય દિશામાં કામગીરી કરવા જણાવ્યું છે.