(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડના પ્રા. ડૉ. આશા ગોહિલ સામાજિક સેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપી રહ્યા છે. ગૌદાન, પર્યાવરણ સંવર્ધન, ફ્રીમેડિકલ કેમ્પ, સદભાવના પાત્ર, પુસ્તક પરબ, પુસ્તક પરિચય જેવાં વિવિધતા સભર કાર્યક્રમથી તેઓ સમાજમાં સેવાની સુગંધ પ્રસરાવી રહ્યા છે.
મોટાપોંઢા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતાં આશા ગોહિલના આ માનવતાવાદી કાર્યોને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ બિરદાવ્યા છે. સામાજિક ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો થકી નગરજનો તથા છેવાડાના માનવીને મદદરૂપ થવાની એક ભાવના સાથે નક્કર દિશામાં સેવાના કાર્યો તેઓ કરી રહ્યા છે. એમના પુસ્તક પરબમાં અત્યાર સુધી 31 કાર્યક્રમો થકી લોકોને વાંચવા માટે પ્રેરિત કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘‘વાંચે ગુજરાત અભિયાન” અંતર્ગત કાર્યક્રમો યોજી લોકોને પુસ્તકો વાંચવા પ્રેરિત કરતા હતા. વલસાડની પુસ્તક પરબ વર્તમાન સમયમાં જ્યારે લોકોને વાંચન તરફ ઓછો રસ છે તે સમયે વલસાડમાં દર મહિનાના પહેલા રવિવારે બે જાહેર સ્થળોએ પુસ્તક પર આયોજિત કરી લોકોના વાંચન રસને પોષી રહ્યા છે. પ્રા.ડૉ. આશા ગોહિલ, હાર્દિકભાઈ પટેલ (એડવોકેટ નોટરી) તથા એમની સમગ્ર ટીમ જેમાં દેવરાજ કરડાણી, જયંતીભાઈ મિષાી, દીપ ચૌહાણ, અર્ચના ચૌહાણ, સૌરભ પટેલ, સુનિતા ઢીંમર, હંસા પટેલ, વિલ્સન મેકવાન, પ્રિયાંક પટેલ, દિલીપદેસાઈ, રાધિકા જેવા પ્રતિબદ્ધ માણસોની મદદથી સારી કામગીરી થઈ રહી છે. ગુજરાત સરકારે આ વિશિષ્ટ કામગીરીની નોંધ લઈ ડૉ.આશા ગોહિલ તથા તેમની સમગ્ર ટીમને બિરદાવ્યા છે. આ ઉપરાંત એમણે પોતાના દીકરાની 25મી વર્ષગાંઠ નિમિત્તે 9 ગીર ગાય ગૌદાન કાર્યક્રમ આયોજિત કરી મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે જે પ્રયત્ન કર્યા છે એની પણ ગુજરાત સરકારે વિશિષ્ટ નોંધ લઈ આ કાર્યને પણ બિરદાવ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (ગુજરાત રાજ્ય) દ્વારા આશા ગોહિલને ગૌદાન તથા પુસ્તક પરબ વલસાડની સમગ્ર ટીમને તેમના પ્રશંસનીય કાર્ય માટે બિરદાવવામાં આવ્યા છે.