સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો તિરંગાના સન્માન સાથે તિરંગા યાત્રામાં પગપાળા ચાલી સામેલ થયા
એસપી કચેરીથી મોઘાભાઈ હોલ સુધી બે કિલોમીટરની તિરંગા યાત્રામાં
દેશભક્તિ છલકાઈ
અશ્વદળ, મોટર સાયકલ દળ, પોલીસ પ્લાટૂન અને પોલીસ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ ખાતે સાંસદશ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. સાંસદશ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુર અને વલસાડ ધારાસભ્ય સર્વશ્રીઓ અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે લીલીઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. હજારો વલસાડવાસીઓએ ઉપસ્થિત રહી સમગ્ર વાતાવરણને તિરંગામય બનાવ્યું હતું. સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું.
તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, મોટરસાઈકલ દળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા. પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી. ફૂલોથીશણાગારાયેલી ખુલ્લી જીપમાં ભારતમાતાનું ફૂલોની પાંખડીઓથી સ્વાગત કરાયું હતું. સાથે સાથે ગુજરાત યોગ બોર્ડના 150 જેટલા સભ્યો તિરંગા સાથે રેલીમાં સામેલ થયા હતા. એનસીસી અને એનએસએસના યુવા સભ્યોએ યુવા શક્તિનું પ્રદર્શન કર્યું હતું.પોલીસની મહિલા પ્લાટૂન અને એનસીસીના મહિલા કેડેટ્સે તિરંગા સાથે માર્ચ કરીસ્ત્રીશક્તિનું પ્રદર્શન કર્યું હતું. યાત્રાના રૂટમાં ઠેર ઠેર ફુલોની પાંખડીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું. પોલીસની 500 કર્મીઓની વિવિધ પ્લાટૂનના જવાનો સાથે ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ફાઈટર્સે તિરંગા સાથે માર્ચ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં જોડાયા હતા. જિલ્લાની વિવિધ શાળાના 800થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 3500 થી 4000 લોકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સાંસદશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ધારાસભ્યોએ તિરંગા સાથે એસપી કચેરીથી હાલર ચાર રસ્તા – આઝાદ ચોક – મોંઘાભાઈ હોલ થી પરત એસપી કચેરી સુધી બે કિલોમીટર સુધી તિરંગા યાત્રામાં પગપાળા ચાલી લોકોનો ઉત્સાહ વધારી યાત્રામાં સહભાગી થયા હતા. પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત અનેક અધિકારી-કર્મચારીઓ તિરંગો લહેરાવી યાત્રામાંજોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો લહેરાય એવા સંકલ્પ સાથે તા. 9 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન-સન્માન સાથે લહેરાવવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
તિરંગા યાત્રામાં 400 મીટર લંબાઈના તિરંગાએ દેશભક્તિ જગાવી
વલસાડની બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં 400 મીટર લંબાઈના તિરંગાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. 350થી વધુ પોલીસ જવાનો અને જિલ્લા વહીવટી તંત્રના કર્મીઓએ યાત્રા દરમિયાન આ અતિભવ્ય વિશાળ તિરંગા સાથે માર્ચ કરી હતી. યાત્રાના સ્વાગત દરમિયાન આ તિરંગા પર પથરાયેલી ફૂલોની પાંખડીઓએ તિરંગાનું ગૌરવ વધાર્યું હતું.
પોલીસ બેન્ડના દેશભક્તિ ગીતોનું અનોખું આકર્ષણ
તિરંગા યાત્રામાં ઉપસ્થિત બે પોલીસ બેન્ડે દેશભક્તિ ગીતોની મધુર સુરાવલી છેડી હતી. પોલીસ બેન્ડે બેન્ડમાર્ચ સાથે તિરંગા યાત્રાને વધુ જોશવંતી બનાવી હતી. પોલીસ બેન્ડના દેશપ્રેમ દર્શાવતા શૌર્યગીતોએ ઉપસ્થિત લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું.
પોલીસની મહિલા પ્લાટૂન અને એનસીસીની મહિલા કેડેટ્સેસ્ત્રીશક્તિનું પ્રદર્શન કર્યું
વલસાડની ભવ્ય તિરંગા યાત્રામાં પોલીસની મહિલા પ્લાટૂન અને એનસીસીની મહિલા કેડેટ્સે તિરંગા સાથે ફલેગમાર્ચ કરીસ્ત્રીશક્તિનું પ્રદર્શનકર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર તિરંગો ફરકાવી તિરંગા યાત્રામાં ભાગ લઈ દેશપ્રેમ દર્શાવ્યો હતો.