સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં આઝાદીની લડત અને આઝાદીનું મહત્વ સમજાવાયું
જિલ્લાની તમામ શાળાઓ દેશભક્તિમય બની, જિલ્લા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તા. 8 ઓગસ્ટ થી તા. 13 ઓગસ્ટ દરમિયાન જિલ્લાની વિવિધશાળાઓમાં સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેમાં જિલ્લાની કુલ 768 શાળાના કુલ 16275 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ લોકો હર્ષોલ્લાસ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે દેશનું ભાવિ પેઢી ગણાતા વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને તેવા શુભ આશય સાથે વલસાડ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ અને મોડલ શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી એલ.ટંડેલના માર્ગદર્શનમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. જેમાં ચિત્ર સ્પર્ધામાં 169 શાળાના 6733 વિદ્યાર્થી, વકળત્વ સ્પર્ધામાં 123 શાળાના 1508 વિદ્યાર્થી, નિબંધ સ્પર્ધામાં 125 શાળાના 3123 વિદ્યાર્થી, રંગોળી સ્પર્ધામાં 91 શાળાના 1089 વિદ્યાર્થી, વેશભૂષા પરિધાન સ્પર્ધામાં 88 શાળાના 1108 વિદ્યાર્થી, શેરી નાટક સ્પર્ધામાં 39 શાળાના 475 વિદ્યાર્થી, એકપાત્રિય અભિનય સ્પર્ધામાં 77 શાળાના 488 વિદ્યાર્થી, રાષ્ટ્રધ્વજ વિકાસ યાત્રા ચિત્ર પ્રદર્શનમાં 42 શાળાના 801 વિદ્યાર્થી અને ‘હર ઘર તિરંગા’ યાત્રામાં 14 શાળાના 950 વિદ્યાર્થી મળી કુલ 768 શાળાના 16275 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉમંગભેરભાગ લઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતા સાથે જ આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું બલિદાન, આઝાદીનું મહત્વ અને દેશની રક્ષા કરતા સૈનિકોના ગૌરવ વિશે પણ વિદ્યાર્થીઓ અવગત થયા હતા. આ વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓની તાલુકા કક્ષાએ તા.13 ઓગસ્ટે સ્પર્ધા યોજાઈ હતી. જેમાંથી વિજેતા સ્પર્ધકોની તા.14 ઓગસ્ટે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે. જેમાં વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે.