(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમ સૌંદર્ય વચ્ચે આવેલ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે પરાશક્તિમાં વિશ્વંભરી માતાના દર્શન કરવા શ્રાવણ માસની શરૂઆતથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીની ભીડ ઉમટી પડી છે. દર્શને આવતાં નાના-મોટા એમ સૌને પ્રાકૃતિકવાતાવરણમાં આવેલ વિશાળ પરીષરમાં નિરવ શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે.
આ ધામની અલૌકિક પાઠશાળામાં માં વિશ્વંભરી માતાના ચૈતન્ય સ્વરૂપના દર્શન અને હિમાલયની ગુફમાં શિવલિંગના દર્શન કરી શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યાં છે. તદુપરાંત આ ધામમાં આવેલ ગોકુલધામમાં શ્રીકૃષ્ણે ઉપાડેલ ગોવર્ધન પર્વત, નંદબાબાની કુટીરની આબેહુબ પ્રતિકૃતિ તેમજ વૈકુંઠધામમાં ગીરગાયોની સ્વચ્છતાના નમૂનેદાર એવી આદર્શ ગૌશાળા અને પંચવટીમાં શ્રીરામ, સીતામાતા તથા લક્ષ્મણજીની પ્રતિમાના દર્શન કરીને તો દરેકના હૃદય પુલંકિત થઈ જાય છે. અદભુત અને અલૌકિક એવી આ ધામની રચના ખરેખર પૃથ્વી પર સ્વર્ગલોકની અનુભૂતિ કરાવે છે.
આ તીર્થયાત્રા ધામ સમસ્ત જગતને સર્વોપરી શક્તિ માં વિશ્વંભરીનો દિવ્ય સંદેશ ‘‘અંધશ્રધ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો”, ઓરીજીનલ ભક્તિનો રાહ બતાવી રહ્યું છે. ન્યાત-જાત, ઊંચ-નીચ,સ્ત્રી-પુરુષ કે અમીર-ગરીબના કોઈ ભેદભાવ રાખ્યાં વિના આ ધામ સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિનો રાહ બતાવી રહ્યું છે. સત્ય-અસત્યનો ભેદ બતાવીને ભવસાગર પાર કરવા એટલે કે મોક્ષની પ્રાપ્તિ માટે સમગ્ર જગતમાં આ દિવ્ય ધામ એક દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે. અહિંયા જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ થયેલો જોવા મળેછે.