લેન્ડમાફિયાઓ અને કૌભાંડના સૂત્રધારોમાં ફેલાયેલો ફફડાટ
દાનહ શિવસેના અધ્યક્ષ શ્વેતલ ભટ્ટે ષડ્યંત્રકારીઓના ચહેરા લોકો સમક્ષ ઉજાગર કરવા જિલ્લા કલેક્ટરને કરેલીરજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: દાદરા નગર હવેલીમાં લેન્ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્લોટની ખરીદી-વેચાણ અને બોગસ વીલના પ્રકરણમાં જિલ્લા પ્રશાસન દ્વારા જવાબદાર કેટલાક લોકોને નોટિસ આપી તપાસ શરૂ કરવામાં આવતાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રશાસન દ્વારા લેન્ડલેસ આદિવાસીઓને ફાળવેલ પ્લોટનું મોટી સંખ્યામાં બોગસ વીલ કરી બિન આદિવાસીઓના નામે કરવાનું મોટું ષડ્યંત્ર ચાલ્યું હતું. જેમાં દરેક પક્ષના રાજકીય આગેવાનો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ તથા લેન્ડમાફિયાઓની સાથે જે તે સમયના ઉચ્ચ અધિકારીઓની પણ સામેલગીરી હોવાનું જાણવા મળે છે. આ કૌભાંડની જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરે શરૂ કરેલી તપાસમાં અનેક ભેદભરમો બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે. આ મુદ્દે દાદરા નગર હવેલી શિવસેનાના અધ્યક્ષ શ્રી શ્વેતલ ભટ્ટે પણ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી ષડ્યંત્રકારીઓના ચહેરા પ્રદેશની જનતા સમક્ષ ઉજાગર કરવા નિવેદન કર્યું છે.
અત્રે યાદ રહે કે, ભૂમિહીન આદિવાસીઓના બોગસ વીલ બનાવી તેમને સરકાર દ્વારા આપવામાં આવેલ લેન્ડને ખરીદવાના ષડ્યંત્રનો દાદરા નગર હવેલીનો જ્યારથી આરંભ થયો ત્યારથી તપાસ કરવી જરૂરી છે. કારણ કે, સમગ્ર કૌભાંડના સૂત્રધાર પણતેઓ જ હોવાનું જાણવા મળે છે.