પબ્લિક પ્રોસિક્યુટર હરિઓમ ઉપાધ્યાયે 31 સાક્ષીઓને તપાસી કરેલી ધારદાર દલીલોને નામદાર અદાલતે માન્ય રાખી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણના બહુચર્ચિત સલીમ અનવર બારવટિયા ઉર્ફે સલીમ મેમણની હત્યા પ્રકરણમાં પાંચ આરોપીઓને દોષિત ઠેરવી તમામને આજીવન કારાવાસની સજાનો આદેશ દમણના સેશન જજ શ્રી શ્રીધર એમ. ભોસલેએ સંભળાવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 2 માર્ચ, 2020ના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ નાની દમણ ખારીવાડ ખાતે આવેલ સલીમ અનવર બારવટિયા ઉર્ફે સલીમ મેમણના રોયલ સુઝુકી બાઈક શો-રૂમમાં અજ્ઞાત હૂમલાખોરોએ પ્રવેશી પિસ્તોલ જેવા હથિયારથી કરેલી અંધાધૂંધ ફાયરિંગમાં સલીમ અનવર બારવટિયા ઉર્ફે સલીમ મેમણનું મોત થયું હતું. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસે આઈ.પી.સી.ની 302, 307, 34 અને આર્મ્સ એક્ટની કલમ 27 અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
તપાસ અધિકારી પી.આઈ. શ્રી સોહિલ જીવાણી અને પી.એસ.આઈ. શ્રી જય પટેલે કરેલી તપાસ દરમિયાન 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં (1)ઉપેન્દ્ર રામજી રાય (2)જાવેદ મતી ઉલ્લા ખાન ઉર્ફે સુલતાન (3)સંતોષશ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત (4)મેહુલ ઠાકુર (5)અબ્દુલ સજ્જાદ ખાન (6)નસરૂદ્દીન શેખ (7)જયરામ નામદેવ લોંઢે અને (8)હનિફ અજમેરીનો સમાવેશ થાય છે.
આ ગુનાની તપાસ પૂર્ણ કર્યા બાદ 23મી જૂન, 2020ના રોજ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં પબ્લિક પ્રોસિક્યુટર શ્રી હરિઓમ ઉપાધ્યાયે 31 જેટલા સાક્ષીઓને તપાસી અને ધારદાર કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી સેશન જજ શ્રી શ્રીધર એમ. ભોસલેએ આરપી (1)જયરામ નામદેવ લોંઢ (2)જાવેદ મતી ઉલ્લા ખાન ઉર્ફે સુલતાન (3)સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત (4)મેહુલ ઠાકુર (5)અબ્દુલ સજ્જાદ ખાન અને (6)નસરૂદ્દીન શેખને આજીવન કારાવાસની સજા અને રૂા.15 હજારના રોકડ દંડનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે આરોપી ઉપેન્દ્ર રામજી રાય અને હનિફ અજમેરીને શંકાનો લાભ આપી છોડી મુકાયા છે. જ્યારે હત્યા પ્રકરણનો એક આરોપી સુનિલ દગડુ હજુ સુધી ભાગેડુ છે.