(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી દમણીઝાપા સ્થિત ઐતિહાસિક તળાવના કિનારે આવેલ એકલિંગી મહાદેવનું મંદિર પારડી તથા આજુબાજુના ગામોના ભક્તજનો માટે ભક્તિ અને આસ્થાનું પ્રતિક હોય દૂર દૂરથી અહીં લોકો દર્શને આવતા હોય છે.
શ્રાવણ મહિનો એટલે મહાદેવની પૂજા અર્ચના કરી એમને રીઝવવાનો મહિનો નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ શ્રાવણ મહિનામાં ફક્ત સોમવારનો ઉપવાસ કરી ભોળેનાથને પામવાનો માર્ગ સરળ કરે છે.
આજરોજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારની સાથે સોમવતી અમાસ પણ હોય આ સોમવારનું ખૂબ મહત્વ વધી જાય છે. પારડીના એકલિંગી મહાદેવ મંદિરમાં આજના આ પવિત્ર દિવસે પૂજારી ચેતનભાઈ તથા ભક્તિબેનની સાથે નિકિતાબેન, સુમિત્રા દાદી, જીતેન્દ્રભાઈ, હેમંતભાઈ જેવા ભક્તો દ્વારા એકલિંગી મહાદેવને રુદ્રાક્ષ, સાબુદાણા તથા મૈસુરની દાળ અને મહાદેવના જ 12 જ્યોર્તિલિંગ અને 108 પાર્થિવ શિવલિંગનો તથા 108 દિવડાઓનો આકર્ષક રીતે શણગાર કરવામાં આવ્યો હતો.
આજે સાંજ સુધી ભક્તજનોના દર્શન માટે આ શણગાર કરેલ શિવલિંગ રાખવામાં આવશે. ત્યારબાદ આ તમામ શિવલિંગનો પારડી પાર નદી ખાતે વિસર્જન કરવામાં આવશે. મંદિરના પૂજારી ચેતનભાઈ અને ભક્તિબેને જણાવ્યુંહતું કે દરેક સોમવારે અહીં ભગવાન શિવજીને અલગ અલગ રીતે શણગાર કરવામાં આવે છે. જેથી ભક્તોજનો શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
Previous post