પ્રશાસનના સંયુક્ત આરોગ્ય સચિવ સુરેશ મીણા સાથે કુપોષિત બાળકોને પોષણ કિટનું પણ કરેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આજે 154મી ગાંધી જયંતિએ આટિયાવાડ પંચાયત કચેરી ખાતે યોજાયેલ આયુષ્માન સભા (ગ્રામસભા)માં લોક ભાગીદારીથી આટિયાવાડ ગ્રામ પંચાયત વિસ્તારને કુપોષણ મુક્ત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુપોષણમુક્ત ભારતના આહ્વાનને આટિયાવાડ પંચાયત વિસ્તારના 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણથી મુક્ત થવા સુધીની નીજી જવાબદારી ઉપાડનાર સરપંચ ઉર્વશીબેન પટેલે આજે ગ્રામસભાના મંચથી કુપોષણ મુક્ત આટિયાવાડ માટે લોક ભાગીદારીનું આહ્વાન કર્યું હતું.
સરપંચ શ્રીમતી ઉર્વશીબેનપટેલે બાળકોને સ્વસ્થ નિરોગી રાખવાના ઉપાયો બતાવી જોઈન્ટ હેલ્થ સેક્રેટરી શ્રી સુરેશ મીણાની સાથે કુપોષિત બાળકોને પોષણ કિટ(પૌષ્ટિક આહાર)નું વિતરણ કર્યું હતું. જોઈન્ટ સેક્રેટરી અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમે બાળકોને તંદુરસ્ત અને કુપોષણથી બચાવવા માટે મહત્ત્વની વાતોની સમજ આપી હતી.
હેલ્થ વિભાગની ટીમે લોકોને ટી.બી., કેન્સર, ડેંગ્યુ, મેલેરિયા જેવી બિમારીઓથી બચવા આરોગ્યલક્ષી મહત્વની વાતો સમજાવી હતી.
સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે જોઈન્ટ હેલ્થ સેક્રેટરી શ્રી સુરેશ મીણા અને હેલ્થ ટીમને આટિયાવાડ પંચાયત વિસ્તારની ચાલોની વિઝિટ કરાવી કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માતાઓને હેલ્થ ટિપ્સ અપાવી હતી.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસકશ્રીના માર્ગદર્શન અને સી.ઈ.ઓ.શ્રીના દિશા-નિર્દેશ તથા સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલના નેતૃત્વમાં આટિયાવાડ ગ્રામ પંચાયત વિસ્તારને કુપોષણ મુક્ત બનાવવા હેલ્થ ડિપાર્ટમેન્ટના સહયોગથી પ્રયાસરત છે. સરપંચશ્રીએ પ્રારંભમાં ગાંધી જયંતિએ મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ પુષ્પ અર્પણ કરી નમન કર્યું હતું. બે દિવસ પહેલાં જ સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ સપ્તાહના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નવી દિલ્હી ખાતે ભાગ લઈ પરત થયા હતા અને ગઈકાલે આટિયાવાડમાં‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં શ્રમદાન કાર્યક્રમ યોજી ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન ચલાવીને આજે આયુષ્માન ભવઃની આયુષ્માન સભામાં આટિયાવાડ પંચાયત વિસ્તારને સંપૂર્ણપણે કુપોષણમુક્ત બનાવવાના ભગિરથ કાર્યમાં જોતરાયા હતા.