(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલી પોલીસે પ્રદેશમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે નવી યોજના પર કામ શરૂ કરી દીધું છે. જે યોજના અંતર્ગત પોલીસના જૂના રેકોર્ડવાળા આરોપીઓને હિસ્ટ્રીશીટર ઘોષિત કરવાની પહેલી સૂચી જાહેર કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહ પોલીસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા ગંભીર ગુનાઓ ધરાવતા આરોપીઓ વિરૂદ્ધ કડક હાર્થે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. જિલ્લામાં દશ જેટલા આરોપીઓ વિરુદ્ધ વિવિધ પ્રકારના કેસો નોંધાયેલ છે. જેમાં વસૂલી, બ્લેકમેઈલિંગસહીત મારામારી, સામાજીક સદ્ભાવના બગાડનાર અને સમાજમાં ભય પેદા કરવા અંગેના કેસો સામેલ છે. આ હિસ્ટ્રીશીટર આરોપીઓમાં દાનહ ભાજપાના પૂર્વ પદાધિકારી ઉત્તમ વજીર પટેલ સહિત એડવોકેટ વિશાલ શ્રીમાળી, પૃથ્વી અશોકસિંહ રાઠોડ, પ્રભાસિંહ રાઠોડ, સુદેશ બાબુ સાલકર, સુરજ છોટુ વરઠા, જીગ્નેશ ભગત, પંકજ બાદલ પટેલ, વિરાજ ઠાકુર ખરપડિયા, મુકેશ શ્રવણ ધગાડા જેવા નામો સામેલ છે. આ લોકો વિરુદ્ધ ખાનવેલ અને સેલવાસ પોલીસ સ્ટેશનમાં કેટલાક ગંભીર કેસો દાખલ છે. જેમાં મુખ્યરૂપે વસૂલી અને સામાજીક સૌહાર્દ બગાડવા અને બ્લેકમેઈલિંગ કરવાના કેસો સામેલ છે.
દાનહ પોલીસ દ્વારા બીજી યાદી પણ તૈયાર કરવાની તૈયારી ચાલી રહી છે, જેઓ વિરુદ્ધ વધુ ગંભીર ગુનાના કેસો દાખલ છે અને જે સમાજ અને સામાજીક વ્યવસ્થા માટે પડકાર છે. તેથી તેઓને કાયદાના દાયરામાં લેવા માટે બીજી યાદી તૈયાર કરવામાં આવી શકે છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ લોકો માટે ચેતવણી છે કે જે સમાજમાં ડર અને ભય પેદા કરી પોતાનું કામ કરવા માંગે છે અને ગુનાહિત ગતિવિધિમાં લિપ્ત રહેવા માંગે છે અને સમય રહેતા સુધરવા નહીં માંગતા હોય તેઓ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી સંભવ છે. કારણ કે, પોલીસ અને પ્રશાસનનો પહેલો ઉદ્દેશ્ય એજ છે કે સ્વચ્છ અને પારદર્શી પ્રશાસન,ઉત્તમ કાયદો વ્યવસ્થા જેમાં દરેક માટે સમાન અધિકાર અને જીવવા માટે સન્માન સાથે અધિકાર મળી શકે.