(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: ઉમરગામ તાલુકાના નાહુલી ગામમાં એક અજગર જાળમાં ફસાયો હોવાની જાણ વાપી એનિમલ રેસકયું ટીમને મળી હતી, વન વિભાગને જાણ કરી અજગરનું સફળ રેસ્કયુ કરી સુરક્ષિત વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો.
વહેલી સવારે નાહુલી નવીનગરીમાં રહેતા બબલીબેન વારલી ખેતરમાં ભાત કાપવા માટે રાબેતા મુજબ જઈ રહ્યા હતા. જોકે ખેતરની દશા બગડેલી જોતા તેમને કોઈ ઢોર ખેતરમાં આવી ચઢયો હોય એમ જણાયું હતું પરંતુ ખેતરની પાડે લગાવેલ સેફટી જાળ પાસેથી પસાર થતાં તેમને અચાનક એક મહાકાય અજગર દેખાઈ આવ્યો હતો. જેની જાણ આસપાસના લોકોને કરતા લોકો સ્થળે ધસી આવ્યા હતા. અજગર જાળમાં ફસાયો હોય માલૂમ પડતાં તરત જ તેમને વાપી એનિમલ રેસ્કયુ ટીમને આ વિશે માહીતિ આપી હતી. લોકો આટલા મોટા સાંપને જોઈ ઘભરાઈ ગયા હતા. જોકે રેસકયુ ટીમના વર્ધમાન શાહ દ્વારા તરત જ સ્થળે પહોંચી ખૂબ સાવધાની પૂર્વક અજગરને જાળ કાપી મુક્ત કર્યો હતો અને લોકોને અજગર વિશે માહિતી આપી હતી.
વર્ધમાન શાહના જણાવ્યા પ્રમાણે લોકો અજગર જેવા બિનઝેરી સાપથી તેના કદ અને ભારે ભરકમ શરીર જોઈને ડરતા હોય છે અને કયારેક આ ડર તેમને મારવા કે હાની પહોંચાડવા માટે પ્રેરિત પણ કરતુંહોય છે. એનાથી ઉલટું અજગર ખૂબ શરમાળ અને ડરપોક સરીસૃપ છે, ભારતીય અજગર બને ત્યાં સુધી મનુષ્યથી દુર રહેવાનું જ પસંદ કરે છે અને મનુષ્ય દ્વારા જો તેને છેડવામાં આવે ત્યારેજ તે પોતાની બચાવ પ્રક્રિયામાં હુમલો કરતો હોય છે અને ત્યારે લોકો ને જીવનું જોખમ પણ બની શકે છે. અજગર જેવા સાપ ખેતરોની આસપાસ વધુ નજરે ચઢતા હોય છે અને ઉંદર જેવા જીવ નો શિકાર કરી ખેડૂતોના પાકને પણ બચાવવામાં મદદ કરતા હોય છે. જોકે ફિલ્મ અને કાલ્પનિક દુનિયામાં અજગરની છબી એક માનવભક્ષી તરીકે બતાવવામાં આવી છે જે હકીક્તમાં તદ્દન ઉલટું હોય છે.